12 May, 2022 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આમ આદમી પાર્ટી (આપ)એ બુધવારે આક્ષેપ કર્યો હતો કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનને હવે ગણ્યાંગાંઠ્યાં અઠવાડિયાં બાકી રહ્યાં છે ત્યારે બીએમસી શહેરનાં નદી-નાળાંની સફાઈ કરવામાં નિષ્ફળ નીવડી છે.
પત્રકારો સાથે વાત કરતાં આપનાં મુંબઈ એકમનાં પ્રમુખ પ્રીતિ શર્મા મેનને જણાવ્યું હતું કે પક્ષના વૉલન્ટિયર્સે નદીઓ, નાળાં અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોનું અવલોકન કર્યું હતું, જ્યાં બીએમસીએ નિરાશાજનક કામ કર્યું છે.
તેમણે કહ્યું હતું કે ‘પક્ષના શહેર એકમે શહેરમાં પૂરનો ભોગ બનનારા તમામ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નદી, નાળાં અને સ્ટૉર્મવૉટર ડ્રેઇન્સ તપાસ્યાં હતાં. કચરો હટાવવા માટે કોઈ પ્રી-મૉન્સૂન કામગીરી ન થઈ હોવાનું જાણીને અમે સ્તબ્ધ થઈ ગયા હતા.’
તેમણે દાવો કર્યો હતો કે બીએમસીના આંકડા અનુસાર નદી-નાળાં અને ગટરોની સફાઈ વ્યાપકપણે બાકી છે. બીએમસીના દસ્તાવેજો અને ઑનલાઇન ટ્રૅકર અનુસાર શહેરનાં ફક્ત ૪૩ ટકા નદી-નાળાં અને ગટરોની સફાઈ થઈ છે.