01 June, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
મુંબઈ શહેરમાં પબ્લિક ટૉઇલેટ્સની બદતર સ્થિતિ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ભારે નારાજગી વ્યક્ત કરીને કડક વલણ અપનાવ્યું છે. નૉર્થ મુંબઈમાં આવેલાં ‘પે ઍન્ડ યુઝ’ ધોરણે ચાલતાં ટૉઇલેટ્સના ઑપરેટરો સાથે BMCએ બેઠક યોજી હતી. આ બેઠકમાં ટૉઇલેટ્સની જાળવણી બરાબર થતી ન હોવાનું જણાતાં સંચાલકોને સખત શબ્દોમાં ફટકાર લગાવવામાં આવી હતી અને આગામી ૯૦ દિવસની અંદર તમામ વ્યવસ્થાઓ સુધારવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આપેલા સમયમાં સુધારો નહીં થાય તો ઑપરેટરોના કૉન્ટ્રૅક્ટ તાત્કાલિક અસરથી રદ અથવા સસ્પેન્ડ કરવામાં આવશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે.
BMC દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શન દરમ્યાન પબ્લિક ટૉઇલેટ્સમાં ભારે ગંદકી અને અવ્યવસ્થા સામે આવી હતી જેમાં ૧૯ ટૉઇલેટ્સમાં ભારે દુર્ગંધ આવતી હતી. ૨૯ ટૉઇલેટ્સમાં અરીસા ગાયબ હતા. ૧૫ ટૉઇલેટ્સમાં ફ્લોરિંગ અત્યંત ગંદું હતું. બે ટૉઇલેટ્સમાં લાઇટની કોઈ વ્યવસ્થા નહોતી. ૫૧ ટૉઇલેટ્સમાં નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ વિગતો સામે આવ્યા બાદ BMCએ કાર્યવાહી કરી હતી.
આ વર્ષે ચોમાસું મોડું થવાની સંભાવના જણાવીને કલ્યાણ અને ડોમ્બિવલીના અનેક વિસ્તારોમાં મંગળવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવાની અને એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. બીજી જૂને સવારે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી પાણીકાપ અમલમાં રહેશે. આ સમયગાળા દરમ્યાન કલ્યાણ અને ડોમ્બિવલીના ઈસ્ટ અને વેસ્ટ વિસ્તારોમાં પાણી નહીં આવે.