30 March, 2026 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
BMC દ્વારા ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મૂર્તિકારોને વિશેષ રાહતો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ બનાવતા મૂર્તિકારોને કામચલાઉ મંડપ બાંધવા માટે કોઈ પણ ફી લીધા વિના પરવાનગી આપવામાં આવશે.
BMC પાસે ઉપલબ્ધ જગ્યાના આધારે વહેલો તે પહેલોના ધોરણે મૂર્તિકારોને મૂર્તિ બનાવવા માટે જરૂરી જગ્યા પણ નિઃશુલ્ક ફાળવવામાં આવશે. એટલું જ નહીં, જે મૂર્તિકારો ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ બનાવે છે તેમને મૂર્તિ બનાવવા માટેની શાડૂ માટી પણ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવશે.
મૂર્તિકારોને જરૂરી વિવિધ મંજૂરીઓ સરળતાથી મળી રહે એ માટે ૨૭ માર્ચથી BMCની સત્તાવાર વેબસાઇટ પર કમ્પ્યુટરાઇઝ્ડ સિંગલ વિન્ડો સ્કીમ શરૂ કરવામાં આવી છે. ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ માટે મૂર્તિઓ બનાવતા મૂર્તિકારો ૧૦ ઑક્ટોબર સુધી આ વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકશે.