06 May, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
BMC દ્વારા શહેરમાં વૃક્ષોના સંરક્ષણ માટે હાથ ધરવામાં આવેલા વૃક્ષ સંજીવની અભિયાનમાં એક મહિનામાં ૫૩૧૧ જેટલાં વૃક્ષોને પુનર્જીવિત કરવામાં આવ્યાં હતાં. એવી જ રીતે BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટને ૧૦૭૧ વૃક્ષોના પાયાની આસપાસનું કૉન્ક્રીટીકરણ દૂર કરવામાં સફળતા મળી હતી. ઝાડના થડમાંથી લગભગ ૫૦.૯૭ કિલો ખીલા દૂર કરવામાં આવ્યા હતા. ૧૧૦૨ વૃક્ષો પર લગાડવામાં આવેલાં પોસ્ટરો દૂર કરવામાં આવ્યાં હતાં.
મુંબઈમાં કુલ ૨૯,૭૫,૨૮૩ વૃક્ષો છે જેમાંથી ૧૩,૫૪,૯૬૬ વૃક્ષો જાહેર સ્થળોએ એટલે કે રસ્તાઓ પર, ગાર્ડનમાં અને BMCનાં અન્ય સ્થળોએ છે. ઘણી જગ્યાએ વૃક્ષોના પાયાની આસપાસ કૉન્ક્રીટીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, મોટા ભાગનાં વૃક્ષોના થડમાં દોરડા અને બૅનરો માટે ખીલા મારવામાં આવ્યા છે. આ ઝુંબેશ આ સમસ્યાઓથી છુટકારો મેળવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી.