સંસ્થાઓ સાથે મળીને શ્વાનો માટે નવાં શેલ્ટર હોમ્સ બનાવશે BMC

17 November, 2025 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જગ્યા મળ્યા પછી અમે પશુઓ માટે વર્ષોથી કામ કરતી સંસ્થાઓને ટેન્ડર પ્રક્રિયા દ્વારા સિલેક્ટ કરીશું

રખડતા શ્વાનોને દૂર કરવાના આદેશ સામે ડૉગલવર્સનું વિરોધ-પ્રદર્શન

મુંબઈમાં રખડતા શ્વાનોને રાખવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP)થી શેલ્ટર હોમ બનાવવાની યોજના પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. BMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘રખડતા શ્વાનોના શેલ્ટર હોમ ઉપલબ્ધ કરવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA), મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ સહિતની અન્ય સરકારી એજન્સીઓ સાથે વાતચીત ચાલી રહી છે. કલેક્ટર સાથે પણ વાત કરી છે. અમે પહેલાં શેલ્ટર હોમ માટે જમીન ઉપલબ્ધ કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ. જગ્યા મળ્યા પછી અમે પશુઓ માટે વર્ષોથી કામ કરતી સંસ્થાઓને ટેન્ડર પ્રક્રિયા દ્વારા સિલેક્ટ કરીશું અને તેમને શેલ્ટર હોમ બનાવવાથી લઈને એની દેખભાળ કરવા માટેનો કૉન્ટ્રૅક્ટ આપીશું.’

રખડતા શ્વાનોને દૂર કરવાના આદેશ સામે ડૉગલવર્સનું વિરોધ-પ્રદર્શન

જાહેર સ્થળો પરથી રખડતા શ્વાનોને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે ઘણા ઍનિમલ-લવર્સે વિરોધ નોંધાવ્યો છે. ગઈ કાલે મુંબઈના દાદરના શિવાજી પાર્કમાં પણ પ્રાણીપ્રેમીઓ દ્વારા આ આદેશ સામે સામૂહિક પ્રદર્શન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં એનિમલ-લવર્સ ‘આવારા નહીં, હમારા હૈ’ના લખાણ સાથેનાં પોસ્ટરો લઈને વિરોધ-પ્રદર્શનમાં જોડાયા હતા. 

mumbai news mumbai brihanmumbai municipal corporation wildlife mumbai metropolitan region development authority MHADA