લગ્નજીવનમાં સામાન્ય મતભેદોને માનસિક ત્રાસ ગુજારવો ન કહેવાય

21 August, 2026 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્ની વારંવાર પોતાની સાથે અને મમ્મી સાથે ઝઘડો કરતી હોવાનું કારણ આપીને પતિએ કરેલી છૂટાછેડાની અરજી હાઈ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી

બૉમ્બે હાઈ કોર્ટ

પત્ની વારંવાર પોતાની સાથે અને પોતાની મમ્મી સાથે ઝઘડા કરતી હોવાનું કારણ આપીને પતિ દ્વારા છૂટાછેડાની કરવામાં આવેલી અરજીને બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. લગ્નસંસ્થામાં ફેરફાર થઈ રહ્યા છે ત્યારે ફક્ત પાર્ટનર દ્વારા અણગમતું વર્તન થાય કે પછી થોડા મતભેદો થાય એને માનસિક ત્રાસ ગણી ન શકાય એવું નિરીક્ષણ કરીને હાઈ કોર્ટે પતિ દ્વારા કરવામાં આવેલી છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. પતિએ પત્નીના આવા વર્તનને કારણે તેને માનસિક ત્રાસ સહન કરવો પડતો હોવાનું અરજીમાં જણાવ્યું હતું.

હાઈ કોર્ટની નાગપુર બેન્ચે કહ્યું હતું કે ‘આપણી અરસપરસના જીવનમાં ઘણા જ ફેરફારો થયા છે અને એ જ રીતે લગ્નસંસ્થામાં ફરજો અને જવાબદારીઓની બાબતે પણ ફેરફારો થયા છે. એક જણ માટે જે હેરાનગતિ કે ક્રૂરતા છે તે કદાચ બીજા પાર્ટનર માટે ન પણ હોય. બન્ને જણ કઈ રીતનું જીવન જીવી રહ્યા છે અને તેમની આર્થિક તથા સામાજિક સ્થિતિ શું છે એના પર પર હેરાનગતિ-ક્રૂરતાનો આધાર રાખે છે. નાની-મોટી બાબતોને ક્રૂરતા ગણી ન શકાય.’

ઉલ્લેખનીય છે કે બૉમ્બે હાઈ કોર્ટ ૪૪ વર્ષના પતિ દ્વારા ફૅમિલી કોર્ટના છૂટાછેડા ન આપવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટે હાથ ધરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. 

mumbai news mumbai bombay high court sex and relationships