06 December, 2025 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે મસ્જિદ દ્વારા લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી માગતી જે અરજી કરવામાં આવી હતી એને ફગાવી દેતાં કહ્યું હતું કે કોઈ પણ ધર્મ પ્રાર્થના કરતી વખતે અવાજ મોટો કરવો જોઈએ એમ નથી કહેતો. જસ્ટિસ અનિલ પાનસરે અને રાજ વાકોડેએ કહ્યું હતું કે ‘ધ્વનિપ્રદૂષણ એ કાયમની સમસ્યા છે. એની સામે ચાલીને નોંધ લેવાઈ છે. રાજ્ય સરકારે આ બાબતે અસરકારક ઉપાય શોધવાની જરૂર છે.’
ગોંદિયા જિલ્લાની મસ્જિદ ગૌસિયાએ નમાજ પઢતી વખતે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી માગી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ‘અરજદાર નમાજ કરતી વખતે લાઉડસ્પીકર વગાડવું જરૂરી છે કે પછી ફરજિયાત એ વગાડવું જ પડે એ માટે કોઈ ચોક્કસ વસ્તુઓ આપી શક્યા નથી. એથી અરજદારને લાઉડસ્પીકર લગાડવાનો કોઈ અધિકાર મળતો નથી અને એ અરજી ફગાવી દેવામાં આવે છે.’
કોર્ટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકતાં કહ્યું હતું કે ‘કોઈ પણ ધર્મ બીજાઓની શાંતિ હણીને પ્રાર્થના કરવાનું કહેતો નથી. એની સાથે એ મોટા અવાજે જ પ્રાર્થના કરવી જોઈએ કે નગારાં વગાડવાં જોઈએ એમ પણ કહેતો નથી.’