20 September, 2026 08:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોની એન્ટ્રી અંગે વિવાદ ચાલી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ પણ ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગનું સમર્થન કર્યું છે. VHP એ આયોજકોને ઓળખની ચકાસણી અને કેટલાક સ્થળોએ કપાળ પર `તિલક` લગાવવા જેવા પગલાં અમલમાં મૂકવા અનુરોધ કર્યો છે. દરમિયાન, મુંબઈના બોરીવલીમાં યોજાનારા એક મોટા ગરબા કાર્યક્રમ અંગે મુદ્દો ઊભો થયો છે. આ કાર્યક્રમમાં ગાયિકા ગીતા રબારી અને `ગરબા ક્વીન` ફાલ્ગુની પાઠક જેવા મોટા કલાકારો પરફોર્મ કરવાના છે. કાર્યક્રમ અગાઉ `ભૂમિ પૂજન` અને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાય, ધારાસભ્ય મનીષા ચૌધરી અને ભાજપના પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમોના પ્રવેશ અંગે ગોપાલ શેટ્ટીએ કહ્યું, "જો કોઈ તિલક લગાવીને આવે છે, તો તેમનું સ્વાગત છે. જ્યારે આપણે કહીએ છીએ કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પૂર્વજો હિન્દુ હતા, ત્યારે તેમણે તિલક લગાવવું જોઈએ. જ્યારે આપણે તેમની ઈદની ઉજવણીમાં જઈએ છીએ, ત્યારે આપણે સ્કલ્કૅપ પહેરીએ છીએ." ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, "આ વખતે ગરબા કાર્યક્રમમાં મુસ્લિમો માટે પ્રવેશ નથી. જે કોઈ આવવા ઈચ્છે તેમણે પોતાની પત્ની, બહેન અને દીકરી સાથે આવવું જોઈએ, તિલક લગાવવું જોઈએ અને દેવીની પૂજા કરવી જોઈએ. આવતા પહેલાં તેમણે `સનાતન` ધર્મમાં શ્રદ્ધા રાખવી જોઈએ. આ `લવ જેહાદ` માટેનું સ્થળ નથી."
આયોજક સંતોષ સિંહે જણાવ્યું હતું કે આ વખતે ગરબા કાર્યક્રમ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશતા પહેલા આધાર કાર્ડની ચકાસણી કરવામાં આવશે. ધારાસભ્ય મનીષા ચૌધરીએ ઉલ્લેખ કર્યો હતો કે સ્થળ સુધી મેટ્રો અને હાઈવે દ્વારા પહોંચી શકાય છે. તેમણે કહ્યું કે લોકો મેટ્રોનો ઉપયોગ કરીને ગીતા રબારીના ગરબા મહોત્સવમાં પહોંચી શકે છે. તેમણે માહિતી આપી હતી કે ગીતા રબારી નવ દિવસ સુધી પરફોર્મ કરશે, જ્યારે ફાલ્ગુની પાઠક 20 તારીખે કાર્યક્રમમાં પરફોર્મ કરશે. તેમણે જનતાને ગરબા મહોત્સવનો આનંદ માણવા અપીલ કરી હતી. ગણેશોત્સવ બાદ મહારાષ્ટ્રમાં હવે નવરાત્રિ અને ગરબાના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, ગરબાના કાર્યક્રમોમાં મુસ્લિમોની સહભાગિતા અંગેની ચર્ચા પણ ચાલુ છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી નિતેશ રાણેએ ‘લવ જેહાદ’નો હવાલો આપતાં ગરબાના ઇવેન્ટમાં મુસ્લિમોના પ્રવેશ અંગે વિરોધ નોંધાવ્યો હતો. વળી, તેઓએ વિશ્વ હિન્દુ પરિષદની અપીલને ટેકો આપતાં જણાવ્યું હત કે જો કોઈ મુસ્લિમે ગરબા ઇવેન્ટમાં એન્ટ્રી લેવી હશે તો તેઓએ ધર્માંતરણ કરવું પડશે.