ભિવંડીના લોકપ્રિય પણ ગેરકાયદે શાવરમા સેન્ટર પર બુલડોઝર

21 June, 2026 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૂડ-પૉઇઝનિંગને કારણે ૧૧૦ જણને હૉસ્પિટલ ભેગા કરનારા ફૂડ-જૉઇન્ટ પર ઍક્શન લેવાઈ

ફૂડ-પૉઇઝનિંગ થવાથી હૉસ્પિટલમાં દાખલ પેશન્ટ્સ અને પ્રશાસને બુલડોઝર ઍક્શન લઈને ફૂડ-આઉટલેટ ધ્વસ્ત કર્યું.

ભિવંડીના ખાંડુપાડામાં આવેલા ફેમસ શાવરમા સેન્ટરમાં ચિકન શાવરમા અને પીત્ઝા ખાધા પછી લગભગ ૧૧૦ લોકોને ફૂડ-પૉઇઝનિંગ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પહેલાં ૭૩ જણને અહીં ફૂડ-આઇટમ્સ આરોગ્યા બાદ ફૂડ-પૉઇઝનિંગની અસર થઈ હતી, પરંતુ પછીથી આ આંકડો વધીને ૧૧૦ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રશાસને પણ આ વાતની ગંભીર નોંધ લઈ ફૂડ-આઉટલેટ પર કાર્યવાહી કરી હતી અને બુલડોઝર ઍક્શન લઈ એને તોડી પાડ્યું હતું. તપાસ દરમ્યાન આ ફૂડ-આઉટલેટ ગેરકાયદે હોવાનું જણાયું હતું. આ સિવાય આસપાસનાં ગેરકાયદે બાંધકામો પર પણ કાર્યવાહી કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA), પોલીસ અને હેલ્થ ડિપાર્ટમેન્ટે મળીને આ કાર્યવાહી કરી હતી. 

માર્ચમાં જ લાઇસન્સ પતી ગયું હતું; સૉસ, ચટનીનાં લેવાયાં સૅમ્પલ 
તપાસ દરમ્યાન જણાયું હતું કે ‘આ ફૂડ-સેન્ટરનું લાઇસન્સ ૨૬ માર્ચ ૨૦૨૬માં જ પતી ગયું હતું અને બિઝનેસ ગેરકાયદે ચાલી રહ્યો હતો. તપાસ માટે પ્રશાસને શેઝવાન ચટની, ટમેટો સૉસ, મેયોનિઝ બધાનાં જ સેમ્પલ લીધાં છે જેની તપાસ બાદ આગળની કાર્યવાહી કરાશે.

ફાલૂદાના કારણે થયો ફાલૂદો
પોલીસે આપેલી માહિતી મુજબ લોકોએ અહીં ફાલૂદો, ચિકન શાવરમા અને પીત્ઝા ખાધાં હતાં. આ બધી જ ફૂડ-આઇટમ્સમાં કંઈક વાંધો હતો જેના કારણે ફૂડ-પૉઇઝનિંગનો બનાવ બન્યો હતો જેને પગલે તાત્કાલિક ધોરણે સ્ટૉપ બિઝનેસ નોટિસ મોકલાવીને કાર્યવાહી કરાઈ હતી. 

mumbai news mumbai bhiwandi Crime News mumbai crime news mumbai police