ઘાટકોપરમાં કૅરટેકરની જબરી હાથસફાઈ

22 March, 2026 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧ લાખ રૂપિયાના દાગીના સેરવીને બીમારીનું બહાનું કાઢ્યું અને નોકરી છોડીને ભાગી ગઈ

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડી વિસ્તારમાં સંન્યાસ આશ્રમ નજીક રહેતાં ૬૯ વર્ષનાં મહિલાએ પોતાનાં ૯૫ વર્ષનાં સાસુની સંભાળ રાખવા માટે એક વેબસા​ઇટ પરથી ૨૪ વર્ષની કૅરટેકર પ્રીતિ ખાડવરની નિમણૂક કરી હતી, પરંતુ આ કૅરટેકર વિશ્વાસઘાત કરી આશરે ૧૧ લાખ રૂપિયાના ૧૩ તોલા સોનાના દાગીના તફડાવી ગઈ હોવાની ફરિયાદ શુક્રવારે તિલકનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. પ્રીતિએ નોકરી દરમ્યાન મોકાનો ફાયદો ઉઠાવીને ધીરે-ધીરે દાગીના સેરવી લીધા હતા અને તાજેતરમાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અચાનક નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું, જેનાથી શંકા જતાં ઘરમાં તપાસ કરતાં દાગીના ચોરાયા હોવાની ખાતરી થઈ હતી.

તિલકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ તેમનાં વૃદ્ધ સાસુની ૨૪ કલાક દેખરેખ રાખવા માટે એક વેબસાઇટ પર કૅરટેકરની માગણી કરી હતી. એના પરથી નોકરી માટે આવેલી સુનીતા નામની મહિલા સારી રીતે કામ કરતી હતી, પરંતુ તે વતન જતાં તેના બદલે ૧૬ ડિસેમ્બરે પ્રીતિ ખાડવરને મોકલવામાં આવી હતી. પ્રીતિએ કામ પર આવ્યાના ગણતરીના દિવસોમાં જ તબિયત સારી ન હોવાનું બહાનું કાઢીને અવારનવાર ઘરે જવાની જીદ પકડી હતી. કંપનીએ નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેને રોકાવા કહ્યું હોવા છતાં તાજેતરમાં તે કોઈને કંઈ કહ્યા વગર અચાનક ઘર છોડીને ચાલી ગઈ હતી. પ્રીતિના ગયા પછી પરિવારે તપાસ કરી ત્યારે કબાટમાં રાખેલા સોનાના દાગીના ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરી થયેલા દાગીનામાં સોનાની બંગડીઓ, સોનાનાં કડાં, ચેઇન મળી કુલ ૧૩ તોલાના દાગીના ગાયબ હતા. હાલમાં અમે આરોપી મહિલાના લોકેશન અને તેના પતિના બૅન્ક-ખાતાની વિગતોના આધારે તપાસ ચલાવી રહ્યા છીએ. આ કિસ્સાએ ઑનલાઇન એજન્સીઓ દ્વારા હાઉસહેલ્પ કે કૅરટેકર રાખતાં પહેલાં તેમની સંપૂર્ણ તપાસ કરવી અને સાવચેતી રાખવી કેટલી જરૂરી છે એ ફરી એક વાર સાબિત કર્યું છે.’

mumbai news mumbai ghatkopar mumbai police Crime News mumbai crime news