08 May, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવે દ્વારા ફૉરેન ટૂરિસ્ટ (FT) માટે અનામત રખાયેલા ક્વોટાનો ગેરકાયદે ઉપયોગ કરનારા ભારતીય મુસાફરો વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રેલવેએ તપાસ દરમ્યાન શંકાસ્પદ બુકિંગ પકડીને નિયમભંગ કરનારા મુસાફરો પાસેથી ૩.૬ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી ફેબ્રુઆરીમાં બૅન્ગલોર સિટીથી પટનાના દાનાપુર સ્ટેશન સુધી ચાલતી સંઘમિત્રા એક્સપ્રેસમાં બહાર આવેલા કિસ્સા બાદ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી FT ક્વોટા હેઠળ ૧૭૪ PNR નંબરની ટિકિટો પકડાઈ છે. કુલ ૩૧ ટ્રેનોમાં FT ક્વોટા હેઠળ મુસાફરી કરતા પૅસેન્જરો પાસેથી ૩.૬ લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે.
રેલવેએ શું કહ્યું?
મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ‘આવા મુસાફરોને બર્થ પરથી ઉતારીને એ જગ્યા RAC અને વેઇટિંગ લિસ્ટના મુસાફરોને ફાળવી દેવામાં આવે છે. આ કૌભાંડમાં કોઈ માન્ય એજન્ટો સામેલ છે કે કેમ એ જાણવા IRCTC પાસેથી વધુ વિગતો મગાવવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.’