30 August, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ચેંબુર વિસ્તારમાંથી અત્યંત હચમચાવી નાખે તેવો કિસ્સો (Chembur Crime) સામે આવ્યો છે. મૈસૂર કોલોનીમાં એક શખ્સે પોતાની પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડને પોઇઝન આપીને મારી નાખી છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આરોપીએ પોતાની ગર્લફ્રેન્ડના ચારિત્ર્ય પર શંકા રાખીને આ અત્યંત ઘૃણાસ્પદ પગલું ઉપાડ્યું હતું. હાલ આ મામલે આરસીએફ (RCF) પોલીસે આ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ કિસ્સો ૨૫ ઓગસ્ટના રોજ મૈસૂર કોલોનીના બંગલા નંબર ૫૭-Aમાં બન્યો હતો. જે મહિલાનું કાસળ કાઢી (Chembur Crime) નખાયું છે તેનું નામ વિષ્ણુમાયા હોવાનું સામે આવ્યું છે. ૨૫ ઓગસ્ટના રોજ વિષ્ણુમાયા અને તેના આશિક આશિષ મગર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. બંને વચ્ચેની બોલાચાલી શાંત તો થઇ ગઈ પણ ત્યાં જ આશિષે પોતાની ચાલ ચાલવા માંડી. તેણે પહેલેથી પ્લાન ગોઠવી રાખ્યો હતો એ પ્રમાણે તેણે પોતાની પ્રેયસી વિષ્ણુમાયાને કોલ્ડડ્રિંક પીવા માટે આપ્યું હતું. આ કોલ્ડડ્રિંકમાં તેણે ડાંબરની ગોળીઓ (ઝેરી પદાર્થ) ભેળવેલી હતી. વિષ્ણુમાયાને તો આ ખબર હતી જ નહીં, એટલે તે તો નિર્દોષભાવે આ કોલ્ડડ્રિંક ગટગટાવી ગઈ હતી.
કોલ્ડડ્રિંક પી લીધાના થોડા સમય બાદ વિષ્ણુમાયાને બેચેની થવા લાગી હતી. તેને ઊબકા આવવા લાગ્યા હતા અને તેને વોમિટ પણ થવા લાગી હતી. શરૂઆતમાં પરિવારજનોએ આ તો સામાન્ય બાબત છે એમ કરીને વિષ્ણુમાયાની તબિયત પર ધ્યાન ન આપ્યું. પરંતુ જ્યારે તેની હાલત વધારે લથડવા લાગી અને તે ચક્કર આવીને ઢળી પડી, ત્યારે પરિવારને દાળમાં કંઇક કાળું હોવાની શંકા ગઈ. કહેવાય છે કે વિષ્ણુમાયા હજી ઢળી પડી નહોતી એ પહેલાં જ તેણે પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે આશિષે આપેલ કોલ્ડડ્રિંક પીધા બાદ જ એકાએક તેની તબિયત બગડવા લાગી છે.
વિષ્ણુમાયા ચક્કર ખાઈને ઢળી પડી પછી તેના પરિવારજનોએ સૌ પ્રથમ તો તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યારબાદ તેને શતાબ્દી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડૉક્ટરોએ પણ પ્રાથમિક તપાસમાં ઝેરની અસરથી મૃત્યુ થયું હોવાની આશંકા (Chembur Crime) વ્યક્ત કરી હતી.
વિષ્ણુપ્રિયાના મોત બાદ પરિવારજનોએ પોલીસને આરોપી આશિષ મગરની કરતૂત જણાવી હતી. ત્યારે આરોપી આશિષે આ મૃત્યુને એક્સિડેન્ટલ ડેથ ગણાવ્યું હતું અને તેમાં તેનો કોઈ હાથ ન હોવાનું કહીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરસીએફ પોલીસે કડક પૂછપરછ અને ઘટનાસ્થળના પુરાવાઓની તપાસ કરતાં આશિષ બચી શક્યો નહોતો અને આખરે તેણે પોતાના પાપની કબૂલાત કરી જ દીધી હતી.
આ મામલે ૨૮ ઓગસ્ટના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૩(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ નિરીક્ષક રામદાસ પાટીલના નેતૃત્વમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને ૫ દિવસની પોલીસ કસ્ટડી આપી છે. મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ આ મામલે આગળની કાનૂની કાર્યવાહી (Chembur Crime) કરી રહી છે.