15 July, 2026 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેમ્બુર-વેસ્ટમાં ડાયમન્ડ ગાર્ડન નજીક ચાલતી સ્કૂલ-બસ પર ઝાડ તૂટી પડવાના કારણે ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનું મૃત્યુ થયું હતું
ચેમ્બુર-વેસ્ટમાં ડાયમન્ડ ગાર્ડન નજીક ચાલતી સ્કૂલ-બસ પર ઝાડ તૂટી પડવાના કારણે ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનું મૃત્યુ થયું ત્યાર બાદ ઘટનાની તપાસ માટે BMCએ નીમેલી સમિતિએ રિપોર્ટ સુપરત કર્યો હતો. જોકે આ રિપોર્ટથી મેયર રિતુ તાવડે નારાજ થયાં હોવાનું જણાય છે. તપાસનો રિપોર્ટ પોતાના માટે અસ્વીકાર્ય હોવાનું તથા BMCના રોડ્સ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટને બેદરકારી બદલ જવાબદાર ઠેરવવા જોઈએ એમ રિતુ તાવડેએ મંગળવારે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું.
રિતુ તાવડેએ રિપોર્ટ બદલ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મૃત્યુ પામનારા બાળકના કુટુંબને ૭ લાખ રૂપિયાનું વળતર આપી દેવાથી તેને ન્યાય નહીં મળે. મેં રિપોર્ટ વાંચ્યો છે અને અેમાં ફક્ત કૉન્ટ્રૅક્ટર અને પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટને જ જવાબદાર ઠેરવાયા છે. રિપોર્ટમાં ક્યાંય પણ BMCના રોડ્સ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટને દોષી ઠેરવવામાં આવ્યા નથી. રોડ ડિપાર્ટમેન્ટના સાઇટ એન્જિનિયરને પણ જવાબદાર ગણવા જોઈએ.’
તપાસ-સમિતિની ભલામણ
વૃક્ષની આસપાસ ચાલી રહેલાં વિકાસકામો દરમ્યાન બેદરકારી બદલ બે કૉન્ટ્રૅક્ટરને પાંચ લાખનો દંડ અને કન્સલ્ટન્ટને બે લાખના દંડની કાર્યવાહીની ભલામણ કરાઈ છે.
કમિશનરે મુંબઈમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા અને વૃક્ષોની સુરક્ષા મજબૂત કરવા માટે પાલિકાના તમામ સંબંધિત વિભાગોને તાત્કાલિક ધોરણે નવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સ (SOPs) લાગુ કરવાના કડક નિર્દેશ આપ્યા છે.
બન્ને એજન્સીઓ દ્વારા વૃક્ષની બિલકુલ નજીક ચોમાસાના પાણીના નિકાલની લાઇનનું કામ કરતી વખતે પૂરતી સાવચેતી રાખવામાં આવી નહોતી જેના કારણે વૃક્ષનાં મૂળ નબળાં પડી ગયાં હોવાની શક્યતા છે.
સમિતિએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટના પાછળ માત્ર આ બે એજન્સીઓ જ સંપૂર્ણપણે જવાબદાર નથી, કારણ કે અન્ય ઘણાં કુદરતી અને ભૌગોલિક પરિબળોએ પણ આ ઘટનામાં ભાગ ભજવ્યો હતો.