અજિત પવારના પ્લેન-ક્રૅશની ઘટના અકસ્માત હતી કે કાવતરું એ જાણવા રિપોર્ટની રાહ જોવી પડશે

12 February, 2026 05:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત પવારના દાવા અને સવાલો બાબતે મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા

દેવેન્દ્ર ફડણવીસ

અજિત પવારના પ્લેન-ક્રૅશને દુર્ઘટના ગણવી કે કાવતરું એ બાબતે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. મંગળવારે અજિત પવારના ભત્રીજા રોહિત પવારે પ્રેસ-કૉન્ફરન્સમાં અનેક દાવા કર્યા હતા અને આ કેસ સાથે જોડાયેલા અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે ‘અજિત પવારના પ્લેન-ક્રૅશના કેસમાં ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા મહત્ત્વપૂર્ણ તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી જ નિષ્કર્ષ કાઢવામાં આવશે.’

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે પ્લેનનું બ્લૅક બૉક્સ મળી ગયું છે અને તમામ મોરચે તપાસ શરૂ થઈ ગઈ છે. આ ઘટનાની DGCA દ્વારા થઈ રહેલી તપાસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવતાં દેવેન્દ્ર ફડણવીસે એનાં તારણો સુધી રાહ જોવાની અપીલ કરી હતી.

૨૮ જાન્યુઆરીએ બારામતી ઍરસ્ટ્રિપ નજીક લિયરજેટ વિમાન ક્રૅશ થયું ત્યારે અજિત પવાર અને અન્ય ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ગઈ કાલે રોહિત પવારે દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન વધુ મુદ્દા ઉઠાવ્યા હતા. અજિત પવારનો મૃતદેહ ફૂલેલો લાગતો હોવાથી પ્લેન-ક્રૅશ એ અકસ્માત નહીં પણ સુનિયોજિત કાવતરું જ હશે એવો દાવો પણ તેમણે કર્યો હતો.
આ મામલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મેં રોહિત પવારે શું કહ્યું એ જોયું નથી, પણ મને જે થોડી ખબર છે એ મુજબ મારું માનવું છે કે જો કોઈને કોઈ શંકા હોય તો એનો ઉકેલ લાવવો જોઈએ. અજિત પવાર, પાઇલટ, કો-પાઇલટ અને બે અન્ય લોકોના જીવ લેનારા અકસ્માતની વિગતવાર તપાસ માટે DGCAને પત્ર સૌથી પહેલાં મેં જ લખ્યો હતો. એજન્સી દ્વારા તપાસ ચાલુ છે એટલે રિપોર્ટની રાહ જોવી જરૂરી છે.’

mumbai news mumbai ajit pawar political news maharashtra political crisis nationalist congress party baramati plane crash devendra fadnavis maharashtra government