27 March, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૫ માર્ચે તાતા પાવરે નૅશનલ હાઇવે 48 પર મનોર પાસેની વિઠ્ઠલ કામત રેસ્ટોરાં ખાતે ૧૮૦ કિલોવૉટ ક્ષમતાનું અલ્ટ્રા-ફાસ્ટ EV ચાર્જિંગ સ્ટેશન લૉન્ચ કર્યું છે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)માં મુસાફરી કરનારા માટે એક મહત્ત્વના સમાચાર છે. તાતા પાવરે આ વ્યસ્ત હાઇવે પર એક નવું અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન શરૂ કર્યું છે જેનાથી લાંબા અંતરની મુસાફરી હવે વધુ ઝડપી અને સુવિધાજનક બનશે.
૨૫ માર્ચે તાતા પાવરે નૅશનલ હાઇવે 48 પર મનોર પાસેની વિઠ્ઠલ કામત રેસ્ટોરાં ખાતે ૧૮૦ કિલોવૉટ ક્ષમતાનું અલ્ટ્રા-ફાસ્ટ EV ચાર્જિંગ સ્ટેશન લૉન્ચ કર્યું છે. આ અલ્ટ્રા ફાસ્ટ EV ચાર્જિંગ સ્ટેશન તાતા પાવરના ‘EZ Charge’ નેટવર્કના એક ભાગરૂપ મૂકવામાં આવ્યું છે જે CCS 2 ફાસ્ટ-ચાર્જિંગ ટેક્નૉલૉજી પર આધારિત છે, જેનો અર્થ છે કે એ મોટા ભાગની ઇલેક્ટ્રિક કાર સાથે સુસંગત છે.
આ અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જરની ખાસિયત એની સ્પીડ છે. આ ચાર્જર ૨૦ ટકાથી ૮૦ ટકા સુધી માત્ર ૧૫થી ૩૦ મિનિટમાં જ ચાર્જ કરી શકે છે. આ સ્ટેશન દરરોજ ૨૫થી ૩૦ વાહનોને ચાર્જ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સુવિધા પ્રાઇવેટ અને કમર્શિયલ વાહનચાલકો બન્ને માટે લાભદાયક સાબિત થશે.