વિક્રોલીમાં ગોદરેજની જમીનને ઝૂંપડપટ્ટી જાહેર કરતા ૪૭ વર્ષ જૂના નોટિફિકેશનને કોર્ટે રદ કર્યું

04 January, 2026 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં કંપનીએ મેળવેલી આ જમીન પર મજૂરોને રહેવા માટે કામચલાઉ ટ્રાન્ઝિટ કૅમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે સિટી સિવિલ કોર્ટે વિક્રોલીમાં ગોદરેજ અને બૉય્સની એક જમીનને સ્લમ એરિયા તરીકે વર્ણવતું સરકારી નોટિફિકેશન રદ કર્યું છે. આ આખો વિવાદ ૧૯૭૮માં શરૂ થયો હતો જ્યારે ડેપ્યુટી કલેક્ટરે ગોદરેજ એસ્ટેટના ૭૮૫૦ સ્ક્વેર મીટર (લગભગ બે એકર) જેટલા વિસ્તારને સ્લમ તરીકે જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ગોદરેજ ઍન્ડ બૉય્સે આ નોટિફિકેશનને કોર્ટમાં પડકાર્યું હતું. આ જમીન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં કંપની દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. અહીં લોકોની જે નાની વસાહત હતી એ ઝૂંપડપટ્ટી નહોતી, પણ બહારથી આવતા મજૂરો માટે ટ્રાન્ઝિટ કૅમ્પ હતા એવી કંપનીએ દલીલ કરી હતી. ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે રહેવાસીઓને કંપની દ્વારા જ બાંધકામ-સામગ્રી પૂરી પાડવામાં આવતી હતી અને કોઈ ભાડું વસૂલવામાં આવતું નહોતું.

માલિક કોણ?
બૉમ્બે સિટી સિવિલ કોર્ટે સ્લમ એરિયા ગણવાના નોટિફિકેશનને રદ કરવાનો આદેશ આપ્યો, પણ આ જમીનનો માલિક કોણ ગણાશે એ મહત્ત્વના પ્રશ્નનો હજી નિર્ણય થઈ શક્યો નથી. કંપનીએ એવા આરોપ લગાવ્યા હતા કે ‘સ્થાનિક કાર્યકરો અને અમુક સંગઠનોએ આ જમીન પર અતિક્રમણ કર્યું હતું અને અહીં રહેતા મજૂરોને એવાં ખોટાં વચન આપી રહ્યા હતા કે સરકાર તેમને આ જમીનની માલિકી આપશે.’ કોર્ટે આવા કાર્યકરોને વિવાદિત એરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

mumbai news mumbai vikhroli bombay high court