25 April, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર એક જ ટ્રૅક પર બે લોકલ ટ્રેનો સામસામે આવવાની ઘટના માનવીય ભૂલને કારણે બની હતી. મોટરમૅનની સતર્કતા તેમ જ ઑક્ઝિલરી વૉર્નિંગ સિસ્ટમ (AWS) અને ઇન્ટરલૉકિંગ જેવી લેટેસ્ટ સેફ્ટી સિસ્ટમને કારણે આ અકસ્માત ટળી ગયો હતો એવો દાવો મધ્ય રેલવેએ કર્યો હતો. જોકે આ ઘટના માટે જવાબદાર સ્ટેશન માસ્ટર (કન્ટ્રોલર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
૨૧ એપ્રિલે બદલાપુરથી CSMT આવતી ફાસ્ટ લોકલ ટ્રેન પ્લૅટફૉર્મ ૪ પર આવવાની ધારણા હતી. જોકે સ્ટેશન માસ્ટર (કન્ટ્રોલર)એ ભૂલથી પ્લૅટફૉર્મ પાંચ માટે લોકલ ટ્રેનને સિગ્નલ આપ્યું હતું. ખોપોલી જનારી લોકલ ટ્રેન એ જ પ્લૅટફૉર્મ પર ઊભી હતી. સિગ્નલ મળ્યા પછી લોકલ ટ્રેન આગળ વધી હતી. જોકે બદલાપુરથી ટ્રેન લઈને આવેલા મોટરમૅને ત્યાર બાદ રેડ સિગ્નલ જોઈને અને આગળ ટ્રેન ઊભેલી છે એ જોઈને ટ્રેન રોકી દીધી હતી.