19 September, 2021 01:22 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પરમબીર સિંહ
શુક્રવારે થાણે પોલીસે ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના કથિત સહયોગી તારિક પરવીનની ધરપકડ કરી હતી. ખંડણી કેસ મામલે પોલીસે તેની ધરપકડ કરી હતી.
અધિકારીએ જણાવ્યું કે, તારિક અબ્દુલ કરીમ મર્ચન્ટા ઉર્ફે તારિક પરવીન (55), જે પહેલાથી જ અન્ય કેસમાં જેલમાં હતો, તે થાણે નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતો. હાલની એફઆઈઆરમાં પરબ બીર સિંહ સહિત 20 થી વધુ વ્યક્તિઓના નામ છે, જે મુંબઈ અને થાણેના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે અને કેટલાક અન્ય પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ છે.
બિલ્ડર કેતન તન્ના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમણે આરોપ લગાવ્યો હતો કે સિંહ જ્યારે થાણે પોલીસ કમિશનર હતા ત્યારે તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને સિંહ અને અન્ય અધિકારીઓએ તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા.
અન્ય એક ખંડણી કેસમાં આરોપી પરવીન તલોજા જેલમાં બંધ હતો. શુક્રવારે મુંબઈની એક કોર્ટે તેને થાણે પોલીસને સોંપવાનો આદેશ આપ્યો હતો. થાણે પોલીસે તેને સ્થાનિક અદાલત સમક્ષ રજૂ કર્યો હતો, જયાં તેને 22 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ કેસમાં હજુ સુધી સિંહની ધરપકડ કરવામાં આવી નથી. એન્ટિલિયા કેસ બાદ માર્ચમાં તેમની મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી બદલી કરવામાં આવી હતી. બાદમાં તેમણે મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે મંત્રીએ આખરે રાજીનામું આપ્યું હતું.