11 February, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુનેત્રા પવારે ગઈ કાલે મંત્રાલયમાં તેમનાં વિવિધ ખાતાંનો ચાર્જ સંભાળતાં પહેલાં અજિત પવારની તસવીરને નમન કર્યું હતું.
મહારાષ્ટ્રનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુનેત્રા પવારે તેમના પતિ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના અવસાનના ૧૩ દિવસ પછી મંગળવારે રાજ્ય સચિવાલયના મંત્રાલયમાં તેમનું પ્રધાનપદ સંભાળ્યું હતું અને કામકાજ ચાલુ કર્યું હતું. તેમની સાથે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ, ધનંજય મુંડે અને તેમનો મોટો પુત્ર પાર્થ પવાર પણ હતા.
સુનેત્રા પવારે મંગળવારે યોજાનારી કૅબિનેટની બેઠકમાં પણ હાજરી આપી હતી જે અજિત પવારના મૃત્યુ પછી પહેલી વખત યોજાનારી કૅબિનેટની બેઠક હતી. તેઓ ૨૩ ફેબ્રુઆરીની બજેટસત્ર માટે બિઝનેસ સલાહકાર સમિતિની બેઠકમાં પણ ભાગ લેશે.
પુણે જિલ્લાના બારામતી ખાતે ૨૮ જાન્યુઆરીએ વિમાન-દુર્ઘટનામાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારનું મૃત્યુ થયું હતું. ૩૧ જાન્યુઆરીએ સુનેત્રા પવારે રાજ્યનાં પ્રથમ મહિલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા. તેમને રમતગમત, લઘુમતી કલ્યાણ અને વક્ફ બોર્ડ વિભાગોનો હવાલો સોંપવામાં આવ્યો છે અને બીડ અને પુણેના પાલક પ્રધાન પણ નિયુક્ત કરવામાં આવ્યાં છે.
સુનેત્રા પવાર મંગળવારે વહેલી સવારે પુણેથી મુંબઈ પહોંચ્યાં હતાં અને તેમના મોટા પુત્ર પાર્થ સાથે દાદર વિસ્તારમાં ચૈત્યભૂમિ ખાતે બી. આર. આંબેડકરના સ્મારકમાં અને સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ તેમણે NCPની ઑફિસની મુલાકાત લીધી હતી અને મંત્રાલયમાં જતાં પહેલાં પાર્ટીના વિધાનસભ્યો અને પ્રધાનોને મળ્યા હતા.
અજિત પવારના મૃત્યુ પછી ૭ ફેબ્રુઆરીએ યોજાયેલી પહેલી ચૂંટણીમાં સોમવારે જાહેર થયેલાં પરિણામો મુજબ તેમની પાર્ટીએ ૭૩માંથી ૫૧ બેઠકો મેળવીને પુણે જિલ્લા પરિષદ જાળવી રાખી હતી. NCP અને NCP (SP) ઘડિયાળ પ્રતીક પર સાથે આ ચૂંટણી લડ્યા હતા.
સુનેત્રા પવારે ત્યાર બાદ તેમના ઑફિશ્યલ ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે દાદાની જગ્યા કોઈ ન લઈ શકે, પણ તેમના વિચારોનો વારસો જાળવવા અને મહારાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાનો પ્રામાણિક પ્રયાસ હું ચોક્કસ કરીશ.
સુનેત્રા પવારે ટ્વીટમાં શું કહ્યું?
આજે મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાનની જવાબદારી સ્વીકારતી વખતે મારામાં વિશ્વાસ, ફરજ અને બલિદાનની ભાવના પણ છે. માનનીય અજિતદાદાએ જીવનભર મહારાષ્ટ્રના લોકોના વિકાસ માટે જે જુસ્સો લીધો એ મારા માટે માર્ગદર્શક પ્રકાશ છે.
હું દાદાની કાર્યશૈલી, નિર્ણય લેવાની ક્ષમતા અને લોકો સાથેના ઘનિષ્ઠ સંબંધોની તાકાત લઈશ. તેમનાં અધૂરાં સપનાંઓને પૂરાં કરવા તથા ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોની અપેક્ષાઓને ન્યાય આપવો એ મારી પ્રાથમિકતા રહેશે.
દાદાનું સ્થાન કોઈ લઈ શકે નહીં, પરંતુ હું ચોક્કસપણે તેમના વિચારોના વારસાને જાળવી રાખવા અને વધુ સક્ષમ મહારાષ્ટ્ર બનાવવા માટે પ્રામાણિક પ્રયાસ કરીશ. આ મુશ્કેલ સમયમાં લોકો દ્વારા આપવામાં આવેલો પ્રેમ, સમર્થન અને વિશ્વાસ મારી શક્તિ છે. આજે તેમની સ્મૃતિ સમક્ષ હું એક વચન આપું છું કે હું મહારાષ્ટ્રના હિત માટે વફાદારી અને સમર્પણ સાથે કામ કરતી રહીશ.