27 July, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદેથી હટાવીને દિલ્હીમાં મોટી જવાબદારી સોંપવામાં આવશે, એવી મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલતી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં રવિવારે દેવેન્દ્ર ફડણવીસે તે મુંબઈ અને મહારાષ્ટ્રમાં જ રહેશે, એવી સ્પષ્ટતા કરી હતી. જ્યારે તેમની દિલ્હી મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય પ્રધાને કહ્યું, ‘આજે, હું નાગપુરમાં છું અને સાંજે મુંબઈ જઈશ. હું ફક્ત મુંબઈ અને મહારાષ્ટ્રમાં છું. સંતુષ્ટ છું.’
શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા તિરંગા રેલી યોજાઈ હતી અેનાથી તેમને કોઈ વાંધો નથી, એમ કહેતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘મને ખુશી છે કે તેમને ઉજવણી કરવાનું કારણ મળ્યું. અમે પણ ખુશ છીએ, કારણ કે આવા મુદ્દાઓ કોઈ વ્યક્તિ કે પક્ષના નથી, પરંતુ દેશના યુવાનો સાથે સંકળાયેલા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત સંવેદનશીલતા દર્શાવી અને દેશના હિતમાં નિર્ણય લીધો છે.’
દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે પણ દેવેન્દ્ર ફડણવીસને રાજધાનીમાં કોઈ ભૂમિકા સોંપવામાં આવે એવી અટકળો ફગાવતાં તે દેવેન્દ્ર ફડણવીસને નવી દિલ્હી નહીં જવા દે એમ કહ્યું હતું. આ વિશે સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે હું દેવેન્દ્રજીને દિલ્હી જવા દેવાની પરવાનગી જ નહીં આપું.