03 July, 2025 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિશા સાલિયન અને આદિત્ય ઠાકરેની ફાઇલ તસવીર
દિશા સાલિયન કેસ (Disha Salian Case)ને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. જેને લઈને ફરી એકવાર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકારના વકીલોએ બોમ્બે હાઇકોર્ટમાં એ વસ્તુ ક્લિયર કરી નાખી છે કે આ કેસમાં કોઈ જ શંકાસ્પદ માહિતી સામે આવી નથી. આ આત્મહત્યાનો કેસ છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયનનું 9 જૂન, 2020ના રોજ મલાડમાં એક બિલ્ડિંગના 12મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.
દિશા સાલિયાન (Disha Salian Case)ના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પણ હવે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને કહ્યું છે કે દિશા સાલિયાનના કેસમાં તેના મોતમાં કોઈ શંકાને પાત્ર નથી. અને આ સાથે આદિત્ય ઠાકરે પણ નિર્દોષ જાહેર કર્યા છે.
તમને જણાવી દઈએ કે હવે શિવસેના નેતા આદિત્ય ઠાકરેને આ કેસમાં ક્લીન ચિટ મળી ગઈ છે. દિશા સાલિયાનના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પરંતુ આદિત્યની સામે આ કેસ માટેના કોઈ પુરાવા મળ્યા નહીં. તે હવે નિર્દોષ જાહેર થયો છે.
મુંબઈ પોલીસે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં દાવો કર્યો હતો કે મેડિકલ અને સાયન્ટિફિક પુરાવાઓ એ સાબિત કરતા નથી કે દિશા સાલિયનની હત્યા (Disha Salian Case) કરવામાં આવી હતી અથવા તો તેની સાથે કોઈ પણ પ્રકારની જાતીય સતામણી કરવામાં આવી હતી.
દિશાના પિતા દ્વારા એવો આરોપ લગાડવામાં આવ્યો હતો કે તેમની પુત્રીની હત્યા ક્રૂર બળાત્કાર બાદ કરવામાં આવી હતી અને તેને રાજનૈતિક રૂપે દબાવી દેવાની પણ કોશિશ કરવામાં આવી હતી. જોકે, આદિત્ય ઠાકરેની પણ આ બળાત્કાર અને હત્યામાં સામેલ હોવાના આરોપ મુકાયા હતા. માલવણી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક શૈલેન્દ્ર નાગરકરે રાજ્ય સરકાર વતી જવાબ દાખલ કર્યો હતો. તેમણે ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. ક્લોઝર રિપોર્ટ વૈજ્ઞાનિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દાખલ કરવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે ભાજપના નેતા નારાયણ રાણે અને નિતેશ રાણેએ આદિત્ય ઠાકરે દિશા સાલિયાન આત્મહત્યા કેસમાં સામેલ હોવાનું કહીને આરોપ લગાવ્યો હતો. અને આ કેસ (Disha Salian Case)માં આદિત્ય ઠાકરેના નાર્કો ટેસ્ટની પણ માંગ કરવામાં આવી હતી. જોકે હવે પોલીસને ચાર્જશીટમાં કોઈ પુરાવા મળ્યા નથી. ત્યારે હવે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે વિપક્ષના નેતાઓ પર પલટવાર કરતાં જણાવ્યું હતું કે, `હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માફી માંગવી જોઈએ. નારાયણ રાણેના પુત્ર નીતીશ રાણે, દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના અન્ય નેતાઓ, એકનાથ શિંદે.. આ બધાએ શિવસેના અને આદિત્ય ઠાકરેની માફી માંગવી જોઈએ. એમ સંજય રાઉતે કહ્યું હતું.