03 February, 2026 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટી
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જુહુના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટનાએ ફિલ્મજગતમાં ચિંતા વધારી દીધી છે. આ હુમલા બાદ રોહિત શેટ્ટીની સુરક્ષાને લઈને મુંબઈ પોલીસ અને તેમની પ્રોડક્શન ટીમ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. આ કારણે હવે તેની આગામી ફિલ્મ ‘ગોલમાલ 5’નું શૂટિંગ કડક સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે શરૂ કરવામાં આવશે. શૂટિંગ દરમ્યાન સુરક્ષા મજબૂત બનાવવા માટે આશરે ૬૦ સુરક્ષાકર્મીઓ તહેનાત રહે એવી યોજના તૈયાર કરવામાં આવી છે. સમગ્ર સુરક્ષા-વ્યવસ્થાને બે સ્તરમાં વહેંચવામાં આવી છે.
શૂટિંગ સેટને સંપૂર્ણ રીતે ‘ઍક્સેસ-કન્ટ્રોલ્ડ ઝોન’ બનાવવામાં આવશે. જુનિયર આર્ટિસ્ટ, વેન્ડર્સ અને રોજિંદી મજૂરી પર કામ કરતા કર્મચારીઓ સહિત તમામ ક્રૂ-મેમ્બર્સ માટે અગાઉથી રજિસ્ટ્રેશન અને ID વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ સિવાય પૂર્વમંજૂરી વગર ‘સ્પૉટ એન્ટ્રી’ પર પ્રતિબંધ રહેશે અને વાહનોની આવન-જાવન પર પણ કડક નજર રાખવામાં આવશે.
રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગની ઘટનાની અસર તેના અન્ય પ્રોજેક્ટ્સ પર પણ જોવા મળી રહી છે. આના પગલે જૉન એબ્રાહમ અભિનીત ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયાની બાયોપિકનું શૂટિંગ હાલ માટે અટકાવી દેવામાં આવ્યું છે. ફિલ્મનું માત્ર બે અઠવાડિયાંનું કામ બાકી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં શેડ્યુલ પર ફરી વિચાર કરવામાં આવી રહ્યો છે.
‘ગોલમાલ 5’નું શૂટિંગ આશરે ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થવાનું હતું. જોકે હવે શૂટિંગની ચોક્કસ તારીખ રોહિત શેટ્ટીના નિર્ણય અને પોલીસ-ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન સંબંધિત વિગતોને ગુપ્ત રાખવામાં આવી રહી છે. શૂટિંગનો સમય અને ચોક્કસ લોકેશન માત્ર જેમની હાજરી જરૂરી હશે એવા પસંદગીના લોકોને જ જણાવવામાં આવશે. જોખમ ઓછું રહે એ માટે શૂટિંગ સાઇટ્સની માહિતી છેલ્લી ઘડીએ શૅર કરવામાં આવશે.