ફેલોશિપ સ્કૂલના ૨૦૦૬ના બૅચના પંચાવન વિદ્યાર્થીઓ જ્યારે ૨૦ વર્ષ પછી ભેગા થયા

08 September, 2026 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી વર્ષે શતાબ્દી મહોત્સવ ઊજવવા જઈ રહી છે ત્યારે આ સ્નેહસંમેલન ખૂબ જ યાદગાર બની રહ્યું હતું.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલના વિકાસ માટે જરૂરી ઉપયોગી સાધનો પણ આપવામાં આવ્યાં હતાં.

ઑગસ્ટ ક્રાન્તિ મેદાનસ્થિત ઐતિહાસિક ફેલોશિપ સ્કૂલના વર્ષ ૨૦૦૬માં ટેન્થમાં હોય એવા બૅચના પંચાવન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકદિને ૨૦ વર્ષ પછી એક વિશેષ મિલન સમારોહ યોજ્યો હતો. સ્કૂલ પોતાના ૯૯મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને આગામી વર્ષે શતાબ્દી મહોત્સવ ઊજવવા જઈ રહી છે ત્યારે આ સ્નેહસંમેલન ખૂબ જ યાદગાર બની રહ્યું હતું.

ગુરુદક્ષિણાની પરંપરાને જીવંત રાખતાં ૨૦૦૬ના બૅચના વિદ્યાર્થીઓએ તેમના સમયના ૧૯ શિક્ષકો (જેમાંથી ઘણા નિવૃત્ત થઈ ચૂક્યા છે) અને બે સેવકો (પટ્ટાવાળા)નું વિશેષ બહુમાન કર્યું હતું. તમામ શિક્ષકોને કૃતજ્ઞતાના પ્રતીકરૂપે મેમેન્ટો અને કૅબિન-બૅગ ભેટમાં આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલના વિકાસ માટે જરૂરી ઉપયોગી સાધનો પણ આપવામાં આવ્યાં હતાં.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ‘અમારી શાળાના ૯૯મા વર્ષમાં પ્રવેશ સાથે આ ઉજવણી કરવી એ અમારા માટે ગૌરવની વાત છે. ૨૦ વર્ષ પછી અમારા બૅચના પંચાવન મિત્રો એકસાથે આવ્યા અને આવતા વર્ષે સ્કૂલનાં ૧૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે અમને ઘડનારા ગુરુજનોનું ઋણ અદા કરવાનો આ નાનો પ્રયાસ હતો.’ 

mumbai news mumbai gujarati medium school gujaratis of mumbai gujarati community news