જુહુના બિલ્ડિંગમાં લાગેલી આગમાં ગુજરાતી પરિવાર સહિત ૮ લોકોને ગૂંગળામણ

12 June, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરમીમાં સતત ચાલતા ACના યુનિટમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હોવાનું તારણ, બિલ્ડિંગની ફાયર સિસ્ટમને લીધે આગ જલદી બુઝાઈ ગઈ હતી

હોઝ પાઇપથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી રહેલા ફાયરબ્રિગેડના જવાનો.

જુહુમાં આરોગ્ય નિધિ હૉસ્પિટલ પાસે JVPD રોડ પર આવેલા ૧૧ માળના મનીષા બિલ્ડિંગમાં ગઈ કાલે સવારે AC યુનિટમાં આગ લાગી હતી. આગની જાણ મુંબઈ ફાયરબ્રિગેડને સવારે ૭.૪૩ વાગ્યે કરવામાં આવી હતી અને ૧૧.૩૦ વાગ્યે એને કાબૂમાં લેવામાં આવી હતી. આગને કારણે ફેલાયેલા ધુમાડાને લીધે ત્રણ સિનિયર સિટિઝનો સહિત કુલ ૮ રહેવાસીઓને ગૂંગળામણનો ભોગ બનવું પડ્યું હતું અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.  

એક ફાયર-ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘છઠ્ઠા માળના ફ્લૅટના AC યુનિટમાં આગ લાગી હતી. આગ ગંભીર નહોતી, પરંતુ એના કારણે ભારે ધુમાડો ફેલાયો હતો અને ૮ રહેવાસીઓને ગૂંગળામણનો સામનો કરવો પડ્યો હતો. તેમને આરોગ્ય હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે. બિલ્ડિંગની ફાયરફાઇટિંગ સિસ્ટમ ઍક્ટિવ હતી, જેના કારણે ઝડપથી આગ ઓલવવામાં મદદ મળી હતી. સદ્નસીબે છઠ્ઠા માળના અપાર્ટમેન્ટમાં જ્યાં આગ લાગી હતી ત્યાં ફક્ત ઘરનો નોકર રહેતો હતો જેને બચાવી લેવાયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. ગૂંગળામણ અનુભવનારા લોકો બીજા માળના હતા.’

mumbai news mumbai juhu fire incident mumbai fire brigade vile parle mumbai police