02 April, 2026 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યાવિહાર-વેસ્ટના સ્કાયલાઇન એપિટમી કમર્શિયલ કૉમ્પ્લેક્સની બળી ગયેલી ઇલેક્ટ્રિક મીટરોની કૅબિન અને મીટરો.
વિદ્યાવિહાર-વેસ્ટના સ્કાયલાઇન એપિટમી નામના કમર્શિયલ કૉમ્પ્લેક્સની ઇલેક્ટ્રિક મીટરની કૅબિનમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ અચાનક શૉર્ટ-સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આ કૉમ્પ્લેક્સના ઑફિસ-ઓનરોએ કહ્યું હતું કે ‘આગને કારણે આ કૉમ્પ્લેક્સમાં આવેલી બાવન ઑફિસોનાં કામકાજ બેથી ૩ દિવસ માટે બંધ રહેશે. આ સિવાય કોઈ નુકસાન થયું નથી કે નથી કોઈ જાનહાનિ થઈ, પરંતુ અમને અહીં માનવતાનાં દર્શન થયાં હતાં.’
સ્કાયલાઇન એપિટમી કમર્શિયલ કૉમ્પ્લેક્સના સક્રિય કાર્યકર પ્રશાંત પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે અમારી સોસાયટીના મીટરની કૅબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડા દેખાતાં જ અમારા કૉમ્પ્લેક્સમાં કાર્યરત ૧૦૦૦થી વધુ લોકો તરત જ સુરક્ષિત રીતે નીચે ઊતરી ગયા હતા. એમાં પ્રેગ્નન્ટ મહિલાઓ અને સિનિયર સિટિઝનો પણ હતાં. આ બધા લોકોને અમારી સોસાયટીના અન્ય લોકોએ સપોર્ટ આપીને કોઈ પણ રીતે પૅનિક થયા વગર નીચે ઉતાર્યા હતા, જેમાં અમને માનવતાનાં દર્શન થયાં હતાં.’
ફાયર-બિગ્રેડ આવે એ પહેલાં જ મહાનગરપાલિકાના N વૉર્ડના અધિકારીઓ અને કર્મચારીઓએ આગને કાબૂમાં લઈ લીધી હતી એમ જણાવીને પ્રશાંત પારેખે કહ્યું હતું કે ‘આગ લાગતાં અમે તરત જ સહાય માટે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નગરસેવક ધર્મેશ ગિરિનો સંપર્ક કર્યો હતો. તેઓ તરત જ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને લઈને ઘટનાસ્થળે હાજર થઈ ગયા હતા. અમારી સોસાયટીની ફાયર ઇક્વિપમેન્ટ સિસ્ટમ પ્રૉપર કામ કરતી હોવાથી આ અધિકારીઓ અને કર્મચારીઓએ આગ ઓલવવાની શરૂઆત કરી દીધી હતી અને ફાયર-બ્રિગેડ પહોંચે એ પહેલાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. એને કારણે આગમાં બે-ત્રણ મીટરો બળી જવા સિવાય કોઈ જ નુકસાન કે જાનહાનિ થઈ નહોતી. જોકે મીટરોને નુકસાન થવાથી બેથી ત્રણ દિવસ સુધી અમારા કૉમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિસિટી બંધ રહેશે.’