07 November, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લાસ્ટિક અને કાર્ડબોર્ડ જેવા ભંગારને કારણે આગ ઝડપથી પ્રસરી હતી.
ઐરોલીમાં ગુરુવારે બપોરે ભંગારનાં પાંચ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કાર્ડબોર્ડ જેવી વસ્તુઓ હોવાને લીધે આગ ઝડપથી પ્રસરી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ ૨.૫૧ વાગ્યે સનશાઇન હોટેલની સામેની ચાલમાં આગ લાગી હતી. ગૅસનું સિલિન્ડર બ્લાસ્ટ થવાને લીધે પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને નજીકનાં ગોડાઉનો આગની ઝપટમાં આવ્યાં હતાં. આગની જ્વાળાઓ અને કાળો ધુમાડો ફેલાતાં આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. આગ પર કાબૂ મેળવવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. કોપરખૈરણે, નેરુળ અને વાશીનાં ફાયર-ટેન્ડરોને ઘટનાસ્થળે મદદ માટે મોકલવામાં આવ્યાં હતાં. આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાનું નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ સચિન કદમે જણાવ્યું હતું.