21 April, 2022 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર લાઉડસ્પીકરના ઉપયોગ પરની રાષ્ટ્રીય નીતિ રજૂ કરે અને પહેલાં બીજેપીશાસિત રાજ્યોમાં એનો અમલ કરે એવી માગણી બુધવારે કરી હતી.
એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેએ ચાલુ મહિનાના પ્રારંભમાં રાજ્યની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગણી કરી ત્યારથી લાઉડસ્પીકર્સના ઉપયોગનો મુદ્દો ગરમાયો છે.
‘મારા પક્ષ વતી હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લાઉડસ્પીકર્સના ઉપયોગ અંગે એક રાષ્ટ્રીય નીતિ ઘડવાની અને એનો અમલ પહેલાં બિહાર, દિલ્હી અને ગુજરાત જેવાં રાજ્યોમાં કરવાની અપીલ કરું છું. એ કાયદો મહારાષ્ટ્રને પણ લાગુ પડશે, આથી મહારાષ્ટ્ર આપમેળે જ કાયદા હેઠળ સામેલ થઇ જશે,’ એમ સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તમારા લોકોએ લાઉડસ્પીકર્સના ઉપયોગ મામલે વિવાદ જગાવ્યો છે એટલે એક રાષ્ટ્રીય નીતિ હોવી જરૂરી છે એમ બીજેપીની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે હજુ સુધી ગુજરાત અને ઉત્તર પ્રદેશમાંથી લાઉડસ્પીકર્સ દૂર નથી કરાયાં.