જાતે જ સમજો અને મૂર્તિઓની ઊંચાઈ ઘટાડો એવી અપીલ સરકાર ગણેશ મંડળોને કરે, પણ PoPની મૂર્તિઓ પર પ્રતિબંધ ન મૂકે

02 August, 2026 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી વિનંતી અખિલ સાર્વજનિક ઉત્સવ સમિતિના અધ્યક્ષે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે થયેલી બેઠકમાં કરી

હિતેશ જાધવ

આવી વિનંતી અખિલ સાર્વજનિક ઉત્સવ સમિતિના અધ્યક્ષે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે થયેલી બેઠકમાં કરી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં PoPને બદલે માટીની મૂર્તિના ઉપયોગની અપીલ કરી ત્યાર બાદ હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું હતું કે મોદીની ‘મન કી બાત’ વિશે તમારો શું અભિપ્રાય છે?

ગણેશોત્સવ એક જ મહિનો દૂર છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણેશમૂર્તિઓના મુદ્દે ગણેશ મંડળો, ઉત્સવ સમિતિઓ તથા આ વિષયથી સંબંધિત અન્ય સંસ્થાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં તેમનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મન કી બાત’માં પર્યાવરણને નુકસાન ન થાય એ માટે પરંપરાગત રીતે બનાવાતી માટીની અને ખાસ કરીને શાડૂની માટીથી ગણેશમૂર્તિઓ બનાવવાની અપીલ કરી અને PoPની મૂર્તિનો ઉપયોગ ન કરવા જણાવ્યું ત્યાર બાદ બૉમ્બે હાઈ કોર્ટે પણ આ બાબતે મહારાષ્ટ્ર સરકારને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું હતું જેને પગલે આ બેઠક યોજાઈ હતી. 

આ બેઠકમાં અખિલ સાર્વજનિક ઉત્સવ સમિતિના અધ્યક્ષ હિતેશ જાધવ પણ હાજર હતા. એમાં તેમણે સરકારને તેમની ભલામણોનું લિસ્ટ આપ્યું હતું. તેમણે સરકારને PoPની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવાને બદલે મૂર્તિઓ પર ઇકો-ફ્રેન્ડ્લી પેઇન્ટનો ઉપયોગ કરવાની ભલામણ આપી હતી. સરકાર ગણેશ મંડળોને તેઓ જાતે જ સમજીને ગણેશમૂર્તિઓની ઊંચાઈ ઘટાડવા અપીલ કરે એવી વિનંતી હિતેશ જાધવે કરી હતી. હિતેશ જાધવે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગણેશમૂર્તિની ઊંચાઈ વધુમાં વધુ ૩૦ ફુટ હોય છે. 
આ મામલે સરકારની કોર કમિટીની બેઠક પણ યોજાશે અને મંગળવારે આ મામલે બૉમ્બે હાઈ કોર્ટમાં એનો અહેવાલ રજૂ કરવામાં આવશે. 

માટી જ નથી તો કરીએ શું? 
હિતેશ જાધવે જણાવ્યું હતું કે ‘૩૦ ફુટની ગણેશમૂર્તિ​ઓ મહારાષ્ટ્રમાં બનતી હોય છે અને આખા રાજ્યમાં એટલી બધી મૂર્તિઓ બને છે જેના માટે શાડૂની માટી પૂરી પાડવી શક્ય નથી. કૃત્રિમ તળાવો હોવાથી PoPની મૂર્તિઓનું વિસર્જન એમાં કરવામાં આવે છે અને એટલે દરિયામાં પ્રદૂષણ થતું નથી.’

mumbai news mumbai ganesh chaturthi bombay high court environment narendra modi