04 February, 2026 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ પીટીઆઇ
મુંબઈ (Mumbai), ખંડાલા (Khandala) ઘાટ વિભાગમાં ગેસ ટેન્કર પલટી જતાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર ગઈકાલ રાતથી રાતોરાત ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. ૧૮ કલાક સુધી આ ટ્રાફિક જામ રહ્યો છે જેના કારણે મોટરિસ્ટોને અગવડ પડી છે. જેના કારણે સેંકડો વાહનો ફસાયા હતા અને બંને માર્ગો પર ભારે ભીડ સર્જાઈ હતી.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગેસ ટેન્કર પલટી ગયાના (Gas tanker overturns on Mumbai-Pune Expressway) અઢાર કલાક પછી પણ ટ્રાફિક જામ છે. એક્સપ્રેસ વે પર હજારો વાહનો ફસાયેલા છે, જેના કારણે બંને બાજુ ભારે ટ્રાફિક જામ થયો છે.
રાતભર અકસ્માત સ્થળની નજીક વાહનો પાર્ક રહ્યા હતા, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિતના મુસાફરોને ખોરાક, પાણી કે શૌચાલયની સુવિધા મળી ન હતી. ટ્રાફિકની અંધાધૂંધી વચ્ચે, સવાર સુધીમાં ૧૨ કિમીથી વધુનો ટ્રાફિક જામ ફેલાયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેન્કરમાંથી હજુ પણ જ્વલનશીલ પ્રોપીલીન ગેસ લીક થઈ રહ્યો છે. તેથી પરિસ્થિતિને સંભાળવા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (National Disaster Response Force – NDRF), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (State Disaster Response Force – SDRF) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Limited - BPCL)ની ટીમો તૈનાત કરવામાં આવી છે.
સામાન્ય વાહનવ્યવહાર ફરી શરૂ થાય તે પહેલાં મોડી સાંજ સુધી કામગીરી ચાલુ રહેવાની અપેક્ષા છે.
હાઇવે ટ્રાફિક પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ટ્રાફિક સામાન્ય ન થાય ત્યાં સુધી એક્સપ્રેસવે પર મુસાફરી કરવાનું ટાળે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે ભારતનો પ્રથમ ૬-લેન પહોળો કોંક્રિટ, એક્સેસ-નિયંત્રિત ટોલ એક્સપ્રેસવે છે. તે ૯૪.૫ કિમીનું અંતર કાપે છે અને મુંબઈ (Mumbai), રાયગઢ (Raigad) અને નવી મુંબઈ (Navi Mumbai)ને પુણે સાથે જોડે છે.
એક્સપ્રેસવે કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ હાઇવે પર ગેસ ટેન્કર પલટી ગયું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના રાયગઢ જિલ્લાના આડોશી ટનલ પાસે બની હતી જ્યારે ટેન્કરે ઢાળને કારણે કાબુ ગુમાવ્યો અને તે પલટી ગયો હતો. અકસ્માત પછી તરત જ, ટેન્કરમાંથી ગેસ લીક થવા લાગ્યો હતો.
ટેન્કરમાં પ્રોપીલીન ગેસ હતો, જે અત્યંત જ્વલનશીલ છે. સાવચેતીના પગલા રૂપે, પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તાત્કાલિક મુંબઈ તરફનો ટ્રાફિક બંધ કરી દીધો હતો.
ઘણા વાહનચાલકોએ સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરી છે. કેટલાકે એક્સપ્રેસવેને "પાર્કિંગ લોટ" ગણાવ્યો અને અન્ય લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી ટાળવાની સલાહ આપી.