મહારાષ્ટ્રમાં GBSના દર્દીઓની સંખ્યામાં વધારો, પુણે બાદ હવે મુંબઈમાં પણ ભયનો માહોલ

11 February, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

GBS Cases surges in Maharashtra: મહારાષ્ટ્રમાં GBSના 184 શંકાસ્પદ અને 155 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા. મુંબઈમાં પહેલો કેસ સામે આવ્યો. 6 શંકાસ્પદ, 1 પુષ્ટિ થયેલું મૃત્યુ થયું. 47 દર્દીઓ ICUમાં, 21 વેન્ટિલેટર પર છે. સરકાર મફત સારવાર આપી રહી છે.

મહારાષ્ટ્રમાં GBSના કેસોમાં વધારો, મુંબઈમાં કેસ નોંધાયો

મહારાષ્ટ્રમાં `ગુઇલેન-બૈરે સિન્ડ્રોમ` (GBS)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ, મુંબઈમાં GBSનો પહેલો કેસ નોંધાયો હતો. 9 ફેબ્રુઆરી સુધીમાં, રાજ્યમાં શંકાસ્પદ GBS રોગથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 184 પર પહોંચી ગઈ છે અને GBSની પુષ્ટિ થયેલા દર્દીઓની સંખ્યા 155 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત, GBSને કારણે શંકાસ્પદ મૃત્યુની કુલ સંખ્યા 6 પર પહોંચી ગઈ છે, જ્યારે ફક્ત GBSને કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા એક છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 89 દર્દીઓને રજા આપવામાં આવી છે, 47 દર્દીઓ ICUમાં છે જ્યારે 21 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

મુંબઈમાં પહેલો કેસ નોંધાયો
શુક્રવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં `ગુઇલેન-બૈરે-સિન્ડ્રોમ` એટલે કે GBSનો પહેલો કેસ સામે આવ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં  64 વર્ષીય મહિલા આ દુર્લભ ન્યુરોલૉજિકલ ડિસઑર્ડરથી સંક્રમિત મળી આવી હતી. BMC કમિશનર અને BMC માટે રાજ્ય દ્વારા નિયુક્ત અધિકારી ભૂષણ ગગરાણીએ 64 વર્ષીય મહિલામાં આ રોગના નિદાનની પુષ્ટિ કરી અને કહ્યું હતું કે જીબીએસ રોગથી પીડિત દર્દી હાલમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. બીએમસી અધિકારીએ જણાવ્યું હતું કે અંધેરી વેસ્ટ વિસ્તારની રહેવાસી મહિલાને તાવ, ઝાડા અને લકવાગ્રસ્ત હોવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

શું છે GBSના લક્ષણો?
તમને જણાવી દઈએ કે મુંબઈમાં `ગુઇલેન-બૈરે-સિન્ડ્રોમ` (GBS) રોગનો ભય જોવા મળી રહ્યો છે. અગાઉ, રાજ્યમાં ફક્ત પુણેમાંથી જ ગુઇલેન-બૈરે કેસ નોંધાતા હતા. જોકે, પુણે પછી હવે નાગપુર અને મુંબઈમાં પણ આ રોગના દર્દીઓ વધી રહ્યાં છે. જીબીએસ એક દુર્લભ રોગ છે જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ નર્વ્સ પર હુમલો કરે છે, જેના કારણે શરીરના ભાગો અચાનક સુન્ન થઈ જાય છે. આના કારણે સ્નાયુઓ નબળા પડી જાય છે અને ગળવામાં કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. GBSના ગંભીર કિસ્સાઓમાં દર્દી સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ શકે છે.

કેન્દ્ર તરફથી મળ્યા નિર્દેશો
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી પ્રકાશરાવ અબિટકરે જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજ્ય સરકારને જીબીએસને ફેલાતાં અટકાવવા માટે એક સ્ટાન્ડર્ડ  મેનેજમેન્ટ પ્રક્રિયા તૈયાર કરવા જણાવ્યું છે. તેમણે રાજ્યના આરોગ્ય, શહેરી વિકાસ અને અન્ય વિભાગો સાથે મળીને આ રોગને ફેલાતાં અટકાવવા માટે પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.

દર્દીઓની સારવાર 
મહારાષ્ટ્ર સરકારને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ દર્દીઓને મફત સારવાર આપવાનું કહેવામાં આવ્યું છે. અબિટકરે જણાવ્યું હતું કે પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હોસ્પિટલોમાં જીબીએસના દર્દીઓને મફત સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ સારવાર રાજ્યની મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ પણ લેવામાં આવી રહી છે.

gbs guillain barre syndrome mumbai news ministry of health and family welfare pune maharashtra news maharashtra jp nadda