18 March, 2026 08:18 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
વિરાર-વેસ્ટમાં રહેતાં ૪૭ વર્ષનાં શિક્ષિકા જાગૃતિ જોશીના ચર્ચગેટ લોકલ ટ્રેનમાંથી ચોરાયેલા પર્સમાંથી મળેલા કાર્ડ દ્વારા ગઠિયાએ સોમવારે ૫૦,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગઈ કાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સોમવારે જાગૃતિબહેન તેમના એક સંબંધીને મળવા વિરારથી બોરીવલી ગયાં હતાં ત્યારે ચર્ચગેટ ફાસ્ટ લોકલ ટ્રેનમાં ગિરદીનો લાભ ઉપાડીને કોઈ અજાણી મહિલાએ તેમનું પર્સ ચોરી લીધું હતું. એ સમયે પર્સમાંથી માત્ર ૫૦૦ રૂપિયા મળ્યા હતા. એ પછી ચોરે ડેબિટ કાર્ડની પાછળ લખેલા PIN એટલે કે પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબરથી પર્સ ચોર્યા બાદ કાર્ડથી ૨૦ મિનિટમાં ૫૦,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા.
બોરીવલી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે જાગૃતિબહેન સાંજે પાંચ વાગ્યે વિરારથી ચર્ચગેટ ફાસ્ટ ટ્રેનમાં ચડ્યાં હતાં. ગિરદી હોવાને કારણે તેઓ લેડીઝ ડબ્બામાં ચડ્યાં હતાં. બોરીવલી રેલવે-સ્ટેશને ઊતર્યા બાદ તેમણે જોયું કે પર્સની ચેઇન ખુલ્લી હતી. તપાસ કરતાં ખબર પડી કે પર્સમાં રાખેલું નાનું પાકીટ ચોરાઈ ગયું છે. એ પછી તેઓ અમારી પાસે ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં પણ એ પહેલાં તેમના બૅન્ક-અકાઉન્ટમાંથી ચાર ટ્રાન્ઝૅક્શનમાં ૫૦,૦૦૦ રૂપિયા ATM દ્વારા ઉપાડાયા હોવાના મેસેજ આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે જાગૃતિબહેને ડેબિટ કાર્ડનો PIN કાર્ડ પર લખી રાખ્યો હતો જેને કારણે અજાણ્યા ચોરે એનો લાભ ઉપાડ્યો હતો.’