પુણે અને બૅન્ગલોરમાં લેન્સકાર્ટ સામે હિન્દુ સંગઠનનું વિરોધ-પ્રદર્શન

19 April, 2026 07:44 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં સ્ટોર મૅનેજરને નિવેદન આપવામાં આવ્યું હતું

હિન્દુ ધર્મનાં પ્રતીકો વાપરવા પર બૅન મૂકનાર ચશ્માંની જાણીતી બ્રૅન્ડ લેન્સકાર્ટ સામે ગઈ કાલે પુણેમાં હિન્દુ ગ્રુપ દ્વારા વિરોધ-પ્રદર્શન કરીને સ્ટોર મૅનેજરને નિવેદન આપવામાં આવ્યું હતું.

કૉર્પોરેટ જેહાદના મામલે નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનો કિસ્સો બહાર આવ્યા બાદ બીજી કંપનીઓમાં પણ હિન્દુ ધર્મને રોકવાની અને ઇસ્લામને પોષવાની નીતિ અપનાવાઈ રહી હોવાનું બહાર આવી રહ્યું છે. ચશ્માંની જાણીતી બ્રૅન્ડ લેન્સકાર્ટમાં કંપની દ્વારા હિન્દુ ધર્મનાં પ્રતીકો પર બૅન મૂકવામાં આવ્યો હતો અને ઇસ્લામના રીતરિવાજને છૂટ અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીની પૉલિસી મુજબ કોઈ પણ હિન્દુ કર્મચારી તિલક ન કરી શકે. કોઈ પણ હિન્દુ છોકરી ચાંદલો (બિંદી) ન લગાડી શકે અને કોઈ પણ હિન્દુ તેના કાંડા પર રક્ષાપોટલી કે રક્ષાકવચનો દોરો બાંધી ન શકે એવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી, જ્યારે ઇસ્લામને અનુરૂપ હિજાબ પહેરવાની યુવતીઓને છૂટ અપાઈ હતી.

બૅન્ગલોરમાં હિન્દુ ઍક્ટિવિસ્ટોએ લેન્સકાર્ટના સ્ટોરમાં જઈને કંકુ ધરતાં હિન્દુ કર્મચારીઓએ તિલક કરીને કંપનીની હિન્દુવિરોધી પૉલિસી સામે વિરોધ નોંધાવ્યો હતો.

કંપનીની આ હિન્દુવિરોધી નીતિની વાત બહાર આવતાં હિન્દુ સંગઠનો દ્વારા પુણેની લેન્સકાર્ટ અને બૅન્ગલોરની લેન્સકાર્ટ પર આ બાબતે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પુણેમાં સ્ટોર મૅનેજરને નિવેદન આપવામાં આવ્યું હતું, જ્યારે બૅન્ગલોરમાં હિન્દુ ઍક્ટિવિસ્ટોએ સ્ટોરની અંદર જઈને હિન્દુ પુરુષ કર્મચારીઓ સામે કંકુ ધર્યું હતું અને હિન્દુ કર્મચારીઓએ તિલક કરીને કંપનીની નીતિનો વિરોધ દર્શાવ્યો હતો. 

નિદા ખાનની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી

નાશિકમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની મહિલા કર્મચારી નિદા ખાન ધર્મપરિવર્તન અને ઑફિસમાં કેટલીક મહિલા સાથીદારોના જાતીય સતામણી સંબંધિત કેસમાં આરોપી છે. તેણે શનિવારે પોતે બે મહિનાની પ્રેગ્નન્ટ હોવાનું કહીને આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે મારા પર લગાવવામાં આવેલા આરોપમાં ૭ વર્ષથી ઓછી સજા થાય છે. નિદા ખાનની અરજી પર સોમવારે નાશિક સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે.

આ જ કેસમાં કોર્ટે જાતીય સતામણી અને ધાર્મિક પરિવર્તન કેસમાં બે પુરુષ આરોપીઓ રઝા મેમણ અને શફી શેખના પોલીસ-રિમાન્ડ ૨૦ એપ્રિલ સુધી લંબાવ્યા છે જેથી પોલીસ મુખ્ય સાક્ષીઓને ઓળખી શકે, પૂછપરછ કરી શકે અને વધુ પુરાવા ભેગા કરી શકે.

નિદા ખાનના વકીલે તેના ક્લાયન્ટ સામેના આરોપને નકારી કાઢતાં કહ્યું હતું કે તેના પર અન્ય મહિલાઓની જાતીય સતામણીનો આરોપ લગાવી ન શકાય. નાશિકના પોલીસ-કમિશનર સંદીપ કર્ણિકે કહ્યું હતું કે નિદા ખાન IT ફર્મમાં ધાર્મિક સતામણીના એકમાત્ર કેસમાં આરોપી છે.

mumbai news mumbai pune news pune hinduism bengaluru