17 October, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૫,૦૦૦ની વિશાળ જનમેદની સાથે ૨૦૯ તપસ્વીઓનો ભદ્રતપનો ઐતિહાસિક પારણોત્સવ સંપન્ન થયો
શ્રીનગર જૈન સંઘ, ગોરેગામ-વેસ્ટના આંગણે પ.પૂ.આ. શ્રી મુક્તિવલ્લભસૂરિ મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.પં. શ્રી વીતરાગવલ્લભ મ.સા.નું સુંદરમજાનું ચાતુર્માસ ચાલી રહ્યું છે. ગુરુદેવશ્રીની પ્રેરણાથી શ્રીસંઘમાં ૧૦૦ દિવસના ભદ્રતપનું આયોજન થયું હતું. આ તપશ્ચર્યામાં ૨૦૯ આરાધકો જોડાયા હતા. આ ૨૦૯ તપસ્વીઓની અનુમોદનાર્થે શ્રીસંઘમાં પાંચ દિવસનો ભવ્યાતિભવ્ય અને જાજરમાન મહોત્સવ યોજાયો હતો.
તા.૧૨-૧૦-૨૦૨૫ ને રવિવારે ગોરેગામના રાજમાર્ગો પર વિશાળ તપસ્વી શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ૪૫ બગી, ૧૧ વિન્ટેજ કાર, ૧૦ બૅન્ડ, અનેક નૃત્યમંડળી, શ્રીનગર જૈન સંઘના ૩૫૦થી અધિક યુવાનોના બૅન્ડ સહિત અનેક આકર્ષણો હતાં.
તપશ્ચર્યાનું શિખર-પર્વ એવો ૨૦૯ તપસ્વીઓનો પારણોત્સવ તા. ૧૫-૧૦-૨૦૨૫, બુધવારે ગોરેગામના ઇતિહાસમાં સૌપ્રથમ વાર નેસ્કો ગ્રાઉન્ડ મુકામે યોજાયો હતો.
આ પ્રસંગે પ.પૂ.આ. શ્રી મુક્તિવલ્લભસૂરિ મ.સા. આદિ અનેક ગુરુભગવંતો તથા મહારાષ્ટ્ર કૅબિનેટ પ્રધાન શ્રી મંગલપ્રભાતજી લોઢા, શ્રીમતી વિદ્યા ઠાકુરજી (MLA), શ્રી જયપ્રકાશ ઠાકુરજી (મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ), શ્રી હર્ષ પટેલ (નગરસેવક), શ્રી દીપકભાઈ ઠાકુર (નગરસેવક), શ્રી ભાર્ગવ પટેલ આદિ અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ હતી.
આ પ્રસંગે સમગ્ર મુંબઈના જૈન સમાજના અગ્રણી, જુદા-જુદા સંઘોના ટ્રસ્ટીઓ તથા વિવિધ પુણ્યવાનો પધાર્યા હતા. સદીઓના ઇતિહાસ બાદ અને ઇતિહાસમાં સદીઓ સુધી યાદ રહે એવો જાજરમાન અને ભવ્યાતિભવ્ય પારણાં મહોત્સવ સંપન્ન થયો.