26 August, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભુલેશ્વરચા રાજાની દુર્ઘટના બાદ હવે એવી દુર્ઘટના ફરી ન બને માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ પગલાં લેવાનું ચાલુ કર્યું છે. હવે ૧ ટન (૧૦૦૦ કિલો)ની મૂર્તિઓનું મૉનિટરિંગ કરાશે. વળી એના માટે ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવું પડશે.
BMCમાં સોમવારે હાઈ રૅન્ક ઑફિસરોની એક બેઠક મળી હતી એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે મૂર્તિનો ઑર્ડર આપવાથી લઈને એ તૈયાર થઈને મંડપમાં પહોંચે ત્યાં સુધી પૂરો રેકૉર્ડ રાખવો પડશે. હવે પછીની બેઠકમાં એ માટેની ખાસ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરવામાં આવશે જેમાં મૂર્તિકાર, મંડળ અને BMCના ઑફિસરોની પણ જવાબદારીઓ નક્કી કરવામાં આવશે.
BMC દ્વારા મૂર્તિનો ઑર્ડર ક્યારે આપવામાં આવ્યો, એ બનાવવામાં શું-શું મટીરિયલ વપરાશે, એ બનાવતાં કેટલો સમય લાગશે, મૂર્તિ પૂરી સુકાઈને પાકી થતાં કેટલા દિવસ લાગશે જેવી માહિતી માગવામાં આવી છે. એ પછી અેની ફિટનેસની ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાર બાદ જ અેને મંડપમાં લઈ જવાની પરવાનગી આપવામાં આવશે.
એડિશનલ કમિશનર અભિજિત બાંગરે ઑફિસરોને સૂચના આપી છે કે ગણપતિની મૂર્તિઓના આગમન અને વિસર્જન વખતે રસ્તા પર ખાડા ન હોય એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જો ખાડા હોય તો તરત જ ભરી લેવામાં આવે. આ માટે BMCના બધા જ વૉર્ડ ઑફિસર્સ રોડ ડિપાર્ટમેન્ટ સાથે કૉર્ડિનેશન રાખે. મૂર્તિઓના અગમન અને વિસર્જનના ૪૮ કલાક પહેલાં તેમના રસ્તાઓનું જાતે નિરીક્ષણ કરવું અને જો કાંઈ પણ સમસ્યા જણાય તો રોડ ડિપાર્ટમેન્ટ સાથે મળી અેનો તરત જ ઉપાય કરી એ સમસ્યાનું નિરાકારણ કરી લેવું.