07 April, 2026 07:25 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
બારામતીમાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર સામે ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજકીય પક્ષો દ્વારા ટીકા થતાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે જો ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પ્લેન-ક્રૅશના મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવે તો પાર્ટી બારામતી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવા વિશે વિચાર કરી શકે છે.
રાજ્ય કૉન્ગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ નિવેદનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પર પોતાની રાજકીય અનુકૂળતા મુજબ વલણ અપનાવવાનો આરોપ પણ મૂક્યો હતો તેમ જ નાંદેડમાં વસંતરાવ ચવ્હાણ અને સોલાપુરમાં મંગલવેઢાનાં ઉદાહરણ આપીને દલીલ કરી હતી કે વિધાનસભ્યના અવસાન બાદ પેટાચૂંટણી બિનહરીફ યોજવાની કોઈ ચોક્કસ પરંપરા રહી નથી અને BJP આ મામલે બેવડું ધોરણ અપનાવી રહ્યું છે.