14 September, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ દરમ્યાન સુરક્ષિત અને સુગમ રીતે મૂર્તિઓનું વિસર્જન પાર પડે એ માટે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC) દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. MBMC દ્વારા વિસર્જન માટે ૧૯ કૃત્રિમ જળાશયો તૈયાર કરવામાં આવ્યાં છે, જ્યારે પાંચ નૈસર્ગિક જળાશયોને પણ સજ્જ કરવામાં આવ્યાં છે અને પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વિસર્જન ઇકો-ફ્રેન્ડ્લી અને સુરક્ષિત રીતે પાર પડે એની ખાતરી કરવા માટે MBMC દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ગણેશભક્તો વિસર્જન માટે આવશે એ વાતને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
મૂર્તિઓનું વિસર્જન ખાસ ટ્રેઇનિંગ અપાયેલા કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તથા કોઈ અનિચ્છનીય બનાવ ટાળવા માટે કોઈ પણ ગણેશભક્તને કૃત્રિમ તળાવ કે પછી નૈસર્ગિક જળાશયની નજીક નહીં જવા દેવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ, મેડિકલ ટીમ તથા ઍમ્બ્યુલન્સ પણ તમામ વિસર્જનના સ્થળે તહેનાત કરવામાં આવશે.
વિસર્જન માટે રો-રો જેટ્ટીના ઉપયોગનો VVMCનો નિર્ણય
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા પણ ગણેશમૂર્તિનું વિસર્જન સરળ અને સુરક્ષિત રીતે કોઈ પણ જાતના અકસ્માત વિના પાર પડે એ માટે યોજના તૈયાર કરવામાં આવી છે. વિસર્જન માટે રો-રો જેટ્ટીના ઉપયોગનો તથા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑફિસ ઊભી કરવા ઉપરાંત ટોલ-ફ્રી હેલ્પલાઇન-નંબર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલઘરના સંસદસભ્ય હેમંત સાવરાનાં સૂચનોને પગલે નોડલ ઑફિસર્સ નીમવા ઉપરાંત વિશેષ ટ્રાફિક-વ્યવસ્થા અને પરવાનગીઓ આપવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ અને પોલીસ-પ્રશાસનના સહકારથી ઊંડા દરિયામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે રો-રો જેટ્ટીની સુવિધા પૂરી પાડવામાં આવશે.