29 May, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયંત પાટીલ
ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ ઑઇલના ભાવ વધવાથી દેશમાં અને રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક જ મહિનામાં ઑલરેડી ૪ વાર વધારો કરવામાં આવ્યો છે જેને લીધે ચીજવસ્તુની ટ્રાન્સપોર્ટેશન કૉસ્ટ પણ વધી ગઈ છે. એવા સમયે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા જયંત પાટીલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કહ્યું છે કે જો રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પરનો પચીસ ટકા વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) અને ૩ રૂપિયા પ્રતિ લીટર લેવામાં આવતો સરચાર્જ નાબૂદ કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે અને સામાન્ય જનતાને એનો લાભ મળી શકે.
જયંત પાટીલે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર આખા રાજ્યમાં ફ્યુઅલ પર પચીસ ટકા VAT અને સરચાર્જ લે છે. આજે મુંબઈમાં પેટ્રોલ ૧૧૧ રૂપિયા પ્રતિ લીટર છે. જો VAT અને સરચાર્જ હટાવી દેવાય તો પેટ્રોલ-ડીઝલ લોકોને ૭૦-૮૦ રૂપિયા સુધી આપી શકાય એમ છે, જેને કારણે મોંઘવારીથી ત્રાસેલી જનતાને પણ રાહત મળશે.’
આવો દાવો થયા પછી હેલ્થ મિનિસ્ટરે તપાસનું વચન આપ્યું
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં એક મહિલાના સંબંધીઓએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ડીઝલની કથિત અછતને કારણે સરકારી ઍમ્બ્યુલન્સ મળવામાં વિલંબ થતાં તેના ગર્ભસ્થ બાળકનું મૃત્યુ થયું હતું. મહિલાના સંબંધીઓના રોષ વચ્ચે સ્ટેટ પબ્લિક હેલ્થ મિનિસ્ટર પ્રકાશ આબિટકરે કહ્યું હતું કે ‘ઍમ્બ્યુલન્સના ડીઝલ માટે ખાસ બજેટ હોય છે એટલે આ કારણ સાચું નહીં હોય. એમ છતાં આ મામલાની તપાસ કરવામાં આવશે.’
મહિલાના પરિવારના જણાવ્યા અનુસાર હિંગોલીમાં જાવળાબજારમાં રહેતી ગર્ભવતી મહિલાને લેબર પેઇન શરૂ થયા પછી સરકારી ઍમ્બ્યુલન્સ માટે લગભગ બે કલાક રાહ જોઈ હતી, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે ડીઝલના અભાવે ઍમ્બ્યુલન્સ મોકલી શકાતી નથી. મહિલાના સંબંધીઓ એક પ્રાઇવેટ વાહનની વ્યવસ્થા કરીને તેને હિંગોલીની સરકારી મેડિકલ કૉલેજ લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ સી-સેક્શન કર્યું હતું, પરંતુ તેના બાળકને બચાવી શકાયું નહોતું. એથી આ બાબતે પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો.