24 October, 2025 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણના લહુજીનગરમાં બુધવારે રાતે બે ગ્રુપ વચ્ચે જોરદાર વિવાદ થયો હતો અને ત્યાર બાદ તલવાર અને લોખંડના સળિયાથી મારામારી થઈ હતી. એમાં કેટલાક લોકો ઘાયલ થતાં તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં બન્ને ગ્રુપે સામસામે ફરિયાદ નોંધાવી હતી.
મારામારીની આ ઘટના વિશે માહિતી આપતાં કલ્યાણના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર કલ્યાણજી ગેઠેએ કહ્યું હતું કે ‘ફટાકડાનો સ્ટૉલ લગાડનાર અને ફટાકડા લેવા આવેલા બે યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. એ પછી તે યુવાનોએ અન્ય લોકોને બોલાવતાં મામલો બિચક્યો હતો અને મારામારી થઈ હતી.’
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં સ્થાનિક મહિલા નેતા સંધ્યા સાઠે પણ આ ઘટનામાં જખમી થયાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘વિવાદ થયા બાદ ૬૦-૭૦ જણનું ટોળું તલવાર, લાકડીઓ અને સળિયા લઈને ત્યાં આવી ચડ્યું હતું. તેમણે હુમલો કર્યો હતો અને તોડફોડ કરીને પ્રૉપર્ટીને નુકસાન પણ કર્યું હતું. એટલું જ નહીં, એ વખતે ત્યાં હાજર પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. તેમણે મને માથામાં સળિયો ફટકાર્યો હતો.’