15 July, 2026 05:57 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
રાખી અગ્રવાલ
પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં પહેલાં તેના પપ્પાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો હતો અને હવે કેતનનાં મમ્મી રાખી અગ્રવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ઈ-મેઇલ પર લખાયેલા એ પત્રમાં કેતનનાં મમ્મીએ કહ્યું છે કે ‘મેં પણ બધી જ માતાઓની જેમ મારા દીકરો સરસ જીવન વ્યતીત કરે, લગ્ન કરે અને આગળ વધે એવાં સપનાં જોયાં હતાં, પણ મારે મારા દીકરાના અંતિમ સસ્કાર કરવા પડ્યા. એક માઁ કે લિએ ઇસ સે બડા દર્દ ઔર કોઈ નહીં હોતા.’
રાખી અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે ‘મેં તો મારી દુનિયા જ ખોઈ નાખી છે. ઘરનો દરેક ખૂણો, તેનાં કપડાં, તેના ફોટોગ્રાફ્સ અને એક વખત તેના હાસ્યથી ભરાઈ જતું ઘર હવે ભેંકાર ભાસે છે અને કહે છે કે તે હવે ક્યારેય પાછો નહીં આવે.’
કેતનના મૃત્યુના ૨૦ દિવસ બાદ તેના દાદા દેવીચંદ અગ્રવાલનું પણ મૃત્યુ થયું હતું. એ બાબતે રાખી અગ્રવાલે લખ્યું હતું કે ‘તે (દેવીચંદ) કેતનને બહુ જ પ્રેમ કરતા હતા અને તેના મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યા. અમારા પરિવારે ટૂંકા ગાળામાં જ બે પેઢી ખોઈ નાખી છે. હું મા છું પણ મને તમારી દયા નથી જોઈતી કે ફેવર પણ નથી જોઈતી, મને ન્યાય જોઈએ છે. જેમ-જેમ સમય જતો જાય છે અમે દુઃખમાં ઊંડા ઊતરતા જઈએ છીએ. મહેરબાની કરીને કેતનના કેસને એક બીજી કેસ-ફાઇલ તરીકે ટ્રીટ ન કરતા. તે કોઈનો દીકરો હતો, કોઈનો ભાઈ હતો, કોઈનો પૌત્ર હતો; પણ મારા માટે વો મેરી પૂરી દુનિયા થા. મને એટલું જોઈએ છે કે હું મારા દીકરાના ફોટોને કહી શકું કે તુઝે ઇન્સાફ મિલ ગયા. કેસને ઝડપથી ચલાવીને આરોપીઓને વહેલી તકે કડકમાં કડક સજા કરવામાં આવે.’