27 June, 2026 08:59 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
હોસ્પિટલમાં દાખલ સિયાના પપ્પા પ્રવીણ ગોયલ અને મમ્મી પૂજા ગોયલ
સિયાની મમ્મી પૂજા ગોયલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘કેતનના મૃત્યુ માટે જે પણ જવાબદાર ઠરે તેને કડક સજા મળવી જોઈએ, ભલે તે મારી દીકરી જ કેમ ન હોય. જો કોર્ટ સિયાને દોષી ઠેરવે તો તેને લોહગઢ કિલ્લા પરથી ફેંકી દેવી જોઈએ.’
પૂજા ગોયલે એવો પણ દાવો કર્યો હતો કે સિયા શરૂઆતમાં લોહગઢ કિલ્લા પર જવાનો ઇનકાર કરતી હતી. ઘટનાની આગલી રાતે સિયા અને કેતન વચ્ચે લોહગઢ કિલ્લા જવા બાબતે વિડિયો કૉલ પર વાત પણ થઈ હતી. કેતનની મમ્મી કૉલમાં જોડાઈ ત્યારે સિયાએ કહ્યું કે તે ટ્રેક પર જવા માગતી નથી. જોકે કેતન અને તેની મમ્મીએ તેને સમજાવી હતી.
સિયાની ધરપકડ બાદ તેના પરિવારમાંથી કોઈ તેને મળવા માટે ગયું નથી. સિયાના પપ્પા પ્રવીણ ગોયલને હાર્ટ-અટૅક આવતાં તે હૉસ્પિટલમાં દાખલ છે. તેમણે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘કેતન મારા દીકરા જેવો હતો. સિયાએ પોતે જ કેતન સાથે લગ્નની હા પડી હતી અને તેમની વચ્ચે કોઈ મતભેદ હોવાની અમને જાણ નહોતી.’
પૂછપરછમાં લગ્ન ન કરવાનાં એક પછી એક કારણો સિયાએ સામે ધર્યાં, કેતનના પરિવાર પાસે બધા પ્રશ્નોની સ્પષ્ટતા મળી
પુણેના બિઝનેસમૅન કેતનની હત્યાના કેસની મુખ્ય આરોપી તેની મંગેતર સિયા ગોયલ પોલીસની પૂછપરછમાં એક પછી એક નવા ખુલાસા કરી રહી છે. એમાં કેતન સાથે લગ્ન ન કરવા માટેનાં કારણો બહાર આવી રહ્યાં છે. ગઈ કાલે તેણે પોલીસ સામે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સિયાનું કહેવું છે કે કેતનને વાળ નહોતા એટલે તે વિગ પહેરતો હતો અને બોલવામાં તોતડો હતો એ સિયાને પસંદ નહોતું અને એથી જ તેણે ચેતન સાથે રિલેશનશિપ બનાવી કાવતરું ઘડીને કેતનની હત્યા કરાવી દીધી. જોકે કેતનના પરિવારે સ્પષ્ટતા કરી છે કે તે વિગ પહેરતો હોવાનું સિયાથી છુપાવવામાં આવ્યું નહોતું. કેતનના પપ્પા વિશાલ અગ્રવાલે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે કેતનને માથામાં એક પૅચ હતો જેને કારણે તે વિગ પહેરતો હતો અને લગ્ન પહેલાં જ આ વાતની સ્પષ્ટતા કરી દેવાઈ હતી.
આ અગાઉ પોલીસની તપાસમાં સિયાએ એવું પણ જણાવ્યું હતું કે તેનું ચેતન ચૌધરી સાથે અફેર હોવાની વાત તેણે કેતનને કહેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે સગાઈ તોડવા તૈયાર નહોતો. સિયાના પરિવારે એવો ખુલાસો કર્યો હતો ‘ચેતન સાથેના સિયાના પ્રેમસંબંધોની તેમને જાણ નહોતી. બન્ને મિત્રો હતાં. કેતન સાથે લગ્ન માટે તે તૈયાર જ હતી. તેને પૂછીને જ લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં.’