07 June, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
Mumbai: મસ્જિદમાંથી તપાસ કર્યા વગર લાઉડસ્પીકર હટાવવા પર મુસ્લિમ સમાજે પોલીસ પર અતિરેકનો આરોપ મૂક્યો છે. નેતાઓનું કહેવું છે કે અઝાનની કેટલીક મિનિટની હોય છે, તેમ છતાં તેને નિશાન બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મુંબઈમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની કાર્યવાહીને લઈને મુસ્લિમ સુમદાયમાં નારાજગી છે. અનેક મસ્જિદોના ટ્રસ્ટીઓએ ફરિયાદ કરી છે કે તપાસ કર્યા વગર જ પોલીસ લાઉડસ્પીકર હટાવી રહી છે અને નોટિસ આપીને ડરાવવાનો પ્રયત્ન પણ કરી રહી છે. આને લઈને મુસ્લિમ સમુદાયના નેતાઓએ શહેરમાં અનેક બેઠકો કરી છે અને કહ્યું કે પોલીસનું વલણ અતિરેકભર્યું છે.
સાકીનાકા મસ્જિદની બેઠકમાં નેતા સામેલ
સાકીનાકાની મસ્જિદ અજમેરી અને મદરસા અલી હસન અહલે સુન્નતમાં તાજેતરમાં જ એક બેઠક થઈ, જેમાં કૉંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ અને ધારાસભ્ય અમીન પટેલ તેમજ અસલમ શેખ પણ હાજર હતા. ટ્રસ્ટી અબુલ હસન ખાનનું કહેવું છે કે પોલીસ મુંબઈ હાઈકૉર્ટના જાન્યુઆરીના આદેશનો હવાલો આપે છે, પણ ડેસિબલ માપ્યા વગર જ લાઉડસ્પીકર હટાવી રહી છે.
55 ડેસિબલની મર્યાદા, પણ માપ વગર કાર્યવાહી
સરકારે દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલની ધ્વનિ મર્યાદા નક્કી કરી છે. પરંતુ ટ્રસ્ટીઓનો આરોપ છે કે પોલીસ આ નિયમ તપાસ્યા વિના સીધી કાર્યવાહી કરી રહી છે. આ મુદ્દા અંગે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ અસીમ આઝમીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે પોલીસ કમિશનર દેવેન્દ્ર ભારતીને મળીને ફરિયાદ નોંધાવી હતી.
રાજકીય હસ્તક્ષેપનો આરોપ
સમાજવાદી પાર્ટીના નેતા યુસુફ અબ્રાહાનીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતા કિરીટ સોમૈયા મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવા માટે પોલીસ પર દબાણ લાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે પોતે મસ્જિદોને ડેસિબલ મર્યાદાનું પાલન કરવાનું કહી રહ્યા છીએ, પરંતુ કેટલાક લોકો તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમે નિયમો મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ - પોલીસનો જવાબ
આ સમગ્ર વિવાદ પર પોલીસ કમિશનર દેવેન્દ્ર ભારતી કહે છે કે પોલીસ ફક્ત કાયદા અનુસાર કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કોઈપણ ધાર્મિક સ્થળને કોઈ ખાસ છૂટ આપવામાં આવશે નહીં.
અન્ય ધર્મોના કાર્યક્રમોની સરખામણીમાં પણ આ મુદ્દા પર કરવામાં આવી હતી ચર્ચા
મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે અઝાન દિવસમાં માત્ર થોડી મિનિટો માટે જ રહે છે, જ્યારે અન્ય ધર્મોના તહેવારો ઘણા દિવસો સુધી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, ફક્ત મસ્જિદો પર કાર્યવાહી કરવી યોગ્ય નથી. ગુજરાત અને મધ્યપ્રદેશની હાઇકોર્ટે પણ તેમના નિર્ણયોમાં સ્વીકાર્યું છે કે અઝાનથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી.
બકરી ઇદ પછી તમામ મસ્જિદોની બેઠક બોલાવવાની તૈયારી
યુસુફ અબ્રાહાનીએ કહ્યું કે બકરી ઇદ પછી શહેરની તમામ મસ્જિદોના ટ્રસ્ટીઓની એક મોટી બેઠક બોલાવવામાં આવશે. આમાં નિર્ણય લેવામાં આવશે કે બધી મસ્જિદોએ નિર્ધારિત મર્યાદામાં અઝાન આપવી જોઈએ, જેથી કાયદાનો ભંગ ન થાય અને સમાજમાં શાંતિ જળવાઈ રહે.