28 February, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બ્રિજના કાર્યનું નિરીક્ષણ કરી રહેલા બીએમસીના એડિશનલ કમિશનર અભિજીત બાંગર
મહાલક્ષ્મી કેબલ-સ્ટેડ બ્રિજ (Mahalaxmi Cable Bridge)ને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. હવે આ બ્રિજ ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે એવું અનુમાન છે. આ નવો કેબલ-સ્ટેડ બ્રિજ સદી જૂના મહાલક્ષ્મી બ્રિજના સ્થાને બનાવવામાં આવનાર છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ટ્રાફિકના પ્રવાહમાં સુધારો કરવા માટે આ બે ફ્લાયઓવરનું નિર્માણ હાથ ધર્યું હતું. મહાલક્ષ્મી નજીક કેશવરાવ ખાડયે રોડ પર કેબલ-સ્ટેડ ફ્લાયઓવર બીએમસી દ્વારા રેલવે ટ્રેક પર આ પ્રકારનો પ્રથમ ફ્લાયઓવર છે. તે મહાલક્ષ્મી રેલવે સ્ટેશન નજીક પશ્ચિમ રેલવે દ્વારા સાત રસ્તાને મહાલક્ષ્મી મેદાન સાથે જોડશે.
તમને જણાવી દઈએ કે આ બ્રિજ (Mahalaxmi Cable Bridge) આશરે 803 મીટર લાંબો છે અને 17.2 મીટર પહોળો છે. જે રેલવે સરહદની અંદર 23.01 મીટર સુધી વિસ્તરેલો છે. આ સાથે જ બીજો બ્રિજ જે મહાલક્ષ્મી સ્ટેશનની ઉત્તર બાજુએ વરલી થઈને ડો. ઇ. મોસેસ રોડથી ધોબી ઘાટ રોડને જોડે છે, તે 639 મીટર લાંબો છે. બંને બ્રિજમાં ચાર લેન હશે. આમ આત્યારે બીએમસી દ્વારા બે બ્રિજણું નિર્માણકાર્ય ચાલુ છે.
આ બ્રિજ (Mahalaxmi Cable Bridge)નું કામ આત્યારે પુરજોશમાં ચાલી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ ચોમાસા દરમિયાન પણ આ બ્રિજનું કામ બંધ ન થાય તેની પણ તકેદારી રાખવાનું કહેવાયું છે. મોટેભાગે આ ફ્લાયઓવરને 31 ઓક્ટોબર, 2026 સુધીમાં ટ્રાફિક માટે ખોલી દેવામાં આવશે.
બીએમસીના એડિશનલ અધિકારી અભિજીત બાંગરે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેબલ-સ્ટેડ બ્રિજને ટેકો આપવા માટે 78 મીટર ઊંચો સ્તંભ ઊભો કરવો પડશે. તે લગભગ 200 દિવસ એટલે કે ૭ મહિના જેટલો સમય માગી લે છે. તે ઉપરાંત, કેબલ-સ્ટેડ બ્રિજની બંને બાજુએ એક સાથે કામ કરવું પડશે. આ કામ રેલવે વહીવટીતંત્રની મંજૂરી સાથે રેલવે ઝોનમાં તબક્કાવાર રીતે કરવામાં આવશે.
આ સાથે જ બાંગરે પોતાની વાતમાં ઉમેર્યું હતું કે, "બ્રિજ (Mahalaxmi Cable Bridge)નું નિર્માણ કરવામાં લગભગ 250 દિવસનો સમય લાગે તેવી અપેક્ષા છે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને સિવિક બોડીએ 31 ઓક્ટોબર, 2026 સુધીમાં આ બ્રિજના સંબંધિત તમામ પ્રકારનું બાંધકામ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી દીધી છે."
જ્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે બ્રિજના મુખ્ય ઇજનેર ઉત્તમ શ્રોતે, નાયબ મુખ્ય ઇજનેર રાજેશ મુળે અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આત્યારનો સદી જૂનો બ્રિજ પ્રતિ કલાક આશરે 5000 વાહનોને સમાવી લે છે. 2021માં બીએમસી દ્વારા બ્રિજના માર્ગમાં અડચણ ઊભા કરનાર 16 સ્ટ્રક્ચર્સને પણ હટાવી લીધા હતા.જોકે, હજી કેટલાંકને દૂર કરવાની જરૂર છે.