16 February, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કસારા-મનમાડ રેલ પ્રોજેક્ટનો રૂટ-મૅપ; જેમાં ઘાટ સેક્શન, ટનલ લોકેશન અને મુંબઈ-હાવડા કૉરિડોર સાથેની કનેક્ટિવિટીને હાઇલાઇટ કરવામાં આવ્યાં છે.
કેન્દ્ર સરકારે ૧૩૧ કિલોમીટરને આવરી લેતા કસારા-મનમાડ કૉરિડોર પર ત્રીજી અને ચોથી રેલવેલાઇનને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો સમયગાળો પાંચ વર્ષનો છે. એ પૂરો થયા પછી કસારા-ઇગતપુરી ડિવિઝનમાં બૅન્કિંગ એન્જિનની જરૂર રહેશે નહીં જેને કારણે પૅસેન્જર ટ્રેનોની સંખ્યામાં વધારો થશે.
કુલ ૧૦,૧૫૪ કરોડ રૂપિયાનો આ કૉરિડોર મુંબઈ, થાણે અને નાશિકના મુસાફરોને ઝડપી અને વધુ કનેક્ટેડ ટ્રાન્સપોર્ટેશન આપશે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટમાં પાંચ ટનલનો સમાવેશ થાય છે. એમાંથી એક ટનલ ૨૪ કિલોમીટર લાંબી બનશે. આ નવી ડબલ-ટ્રૅક લાઇનમાં ૨૩૭ પુલ હશે, જેમાં ૧૬ મુખ્ય અને ૨૧૮ નાના પુલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પાંચ સ્થળોએ રેલવે ફ્લાયઓવર બનાવવામાં આવશે. લોકોની અવરજવરને સરળ બનાવવા માટે ૨૧ અન્ડરપાસ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી પૅસેન્જર ટ્રેનોની સંખ્યામાં વધારો થશે અને વાર્ષિક ૪૬ લાખ ટન વધારાનો માલ ટ્રાન્સપોર્ટ થઈ શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઇકૉનૉમિક અફેર્સ બાબતની કૅબિનેટ કમિટીએ ૩૩૨૦ કરોડ રૂપિયાના કુલ ખર્ચે મહારાષ્ટ્રમાં NH-160Aના ૧૫૫ કિલોમીટર લાંબા ઘોટી-યંબક (મોખાડા)-જવ્હાર-મનોર-પાલઘર સેક્શનના રીહૅબિલિટેશન અને અપગ્રેડેશનને પણ મંજૂરી આપી હતી. મુંબઈ અને સાઉથ તરફ જતાં વાહનો NH-848 પર ઇગતપુરી ખાતેના ઇન્ટરચેન્જ દ્વારા સમૃદ્ધિ એક્સપ્રેસવેનો ઉપયોગ કરી શકશે. ત્યાર બાદ NH-848 પર ઘોટી સુધી જઈ યંબક અને નાશિક જવા માટે NH-160Aનો ઉપયોગ કરી શકશે. ૨૦૨૮થી આ રૂટનો રોજના ૧૦,૦૦૦થી વધુ વાહનો ઉપયોગ કરે એવી અપેક્ષા છે. NH-160A યંબકથી મનોર અને પાલઘર સુધીના રસ્તાના ટ્રાફિકને સરળ બનાવશે.