૧૩૧ કિલોમીટર લાંબા કસારા-મનમાડ કૉરિડોર પર ત્રીજી અને ચોથી રેલવેલાઇનને મળી મંજૂરી

16 February, 2026 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦,૧૫૪ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને લીધે મુસાફરો અને માલના ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે

કસારા-મનમાડ રેલ પ્રોજેક્ટનો રૂટ-મૅપ; જેમાં ઘાટ સેક્શન, ટનલ લોકેશન અને મુંબઈ-હાવડા કૉરિડોર સાથેની કનેક્ટિવિટીને હાઇલાઇટ કરવામાં આવ્યાં છે.

કેન્દ્ર સરકારે ૧૩૧ કિલોમીટરને આવરી લેતા કસારા-મનમાડ કૉરિડોર પર ત્રીજી અને ચોથી રેલવેલાઇનને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો સમયગાળો પાંચ વર્ષનો છે. એ પૂરો થયા પછી કસારા-ઇગતપુરી ડિવિઝનમાં બૅન્કિંગ એન્જિનની જરૂર રહેશે નહીં જેને કારણે પૅસેન્જર ટ્રેનોની સંખ્યામાં વધારો થશે.

કુલ ૧૦,૧૫૪ કરોડ રૂપિયાનો આ કૉરિડોર મુંબઈ, થાણે અને નાશિકના મુસાફરોને ઝડપી અને વધુ કનેક્ટેડ ટ્રાન્સપોર્ટેશન આપશે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટમાં પાંચ ટનલનો સમાવેશ થાય છે. એમાંથી એક ટનલ ૨૪ કિલોમીટર લાંબી બનશે. આ નવી ડબલ-ટ્રૅક લાઇનમાં ૨૩૭ પુલ હશે, જેમાં ૧૬ મુખ્ય અને ૨૧૮ નાના પુલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પાંચ સ્થળોએ રેલવે ફ્લાયઓવર બનાવવામાં આવશે. લોકોની અવરજવરને સરળ બનાવવા માટે ૨૧ અન્ડરપાસ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી પૅસેન્જર ટ્રેનોની સંખ્યામાં વધારો થશે અને વાર્ષિક ૪૬ લાખ ટન વધારાનો માલ ટ્રાન્સપોર્ટ થઈ શકશે.

૩૩૨૦ કરોડના ખર્ચે ઘોટી- યંબક-પાલઘરના રોડને અપગ્રેડ કરવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઇકૉનૉમિક અફેર્સ બાબતની કૅબિનેટ કમિટીએ ૩૩૨૦ કરોડ રૂપિયાના કુલ ખર્ચે મહારાષ્ટ્રમાં NH-160Aના ૧૫૫ કિલોમીટર લાંબા ઘોટી-યંબક (મોખાડા)-જવ્હાર-મનોર-પાલઘર સેક્શનના રીહૅબિલિટેશન અને અપગ્રેડેશનને પણ મંજૂરી આપી હતી. મુંબઈ અને સાઉથ તરફ જતાં વાહનો NH-848 પર ઇગતપુરી ખાતેના ઇન્ટરચેન્જ દ્વારા સમૃદ્ધિ એક્સપ્રેસવેનો ઉપયોગ કરી શકશે. ત્યાર બાદ NH-848 પર ઘોટી સુધી જઈ યંબક અને નાશિક જવા માટે NH-160Aનો ઉપયોગ કરી શકશે. ૨૦૨૮થી આ રૂટનો રોજના ૧૦,૦૦૦થી વધુ વાહનો ઉપયોગ કરે એવી અપેક્ષા છે. NH-160A યંબકથી મનોર અને પાલઘર સુધીના રસ્તાના ટ્રાફિકને સરળ બનાવશે. 

maharashtra government maharashtra news mumbai mumbai news