06 December, 2021 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ ફોટો
હવે બંગાળ સરકાર દિલ્હીની જેમ મુંબઈમાં બંગભવન (બંગાળ ભવન) બનાવવા માગે છે. મુંબઈની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મકાન બાંધકામ માટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જમીન માગી હતી. એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં બંગભવન બનાવવાની રાજ્ય સરકારની પહેલ કેન્સરની સારવાર માટે તાતા મેમોરિયલની મુલાકાત લેતા લોકોની સુવિધા માટે છે.
મમતાએ મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને પોતાની ઈચ્છા જણાવી છે. શિવસેનાના રાજ્યસભાના સભ્ય અને ઠાકરેના નજીકના સહયોગી સંજય રાઉતે મુંબઈમાં બંગભવન બનાવવા માટે મમતા દ્વારા જમીન માગવાની વાત કરી છે.
તેમણે શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે મમતા બેનર્જીની આ માગ બિલકુલ ગેરવાજબી નથી. મુંબઈમાં ઓડિશા ભવન, ઉત્તર પ્રદેશ ભવન છે. શિવસેના નેતાના નિવેદનથી સ્પષ્ટ છે કે બંગાળને ટૂંક સમયમાં મુંબઈમાં જમીન મળી શકે છે. જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે મુંબઈના વાશી રેલવે સ્ટેશન પાસેના 18 પ્લોટ જુદા-જુદા રાજ્યોને આપ્યા છે.