30 March, 2026 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢા
મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ તેમના કૅબિનેટ-સાથીદાર અને સિવિલ સપ્લાય વિભાગના પ્રધાન છગન ભુજબળને પત્ર લખીને તેમના મલબાર હિલ મતવિસ્તારમાં જૈન મંદિરો માટે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડર માગ્યાં છે.
આ પગલાની કેટલાક લોકો દ્વારા ટીકા થઈ રહી છે, પરંતુ મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે કેટલીક વ્યક્તિઓ રાજકીય હેતુઓથી અફવાઓ ફેલાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો તેમના મતવિસ્તારમાં કોઈને ધાર્મિક હેતુઓ માટે રાંધણગૅસની જરૂર હોય તો તેઓ તેમને સુવિધા આપવાના પ્રયાસો કરશે.
છગન ભુજબળને લખેલા પત્રમાં મંગલ પ્રભાત લોઢાએ ચૈત્ર મહિના દરમ્યાન આયંબિલની ઓળી માટે ૧૬ જૈન મંદિરોમાંથી દરેક માટે પાંચ કમર્શિયલ ગૅસ-સિલિન્ડર માગ્યાં છે. જોકે કેટલીક સંસ્થાઓ અને રહેવાસીઓએ પ્રશ્ન કર્યો હતો કે શું મિડલ ઈસ્ટના સંઘર્ષ દરમ્યાન ગૅસની અછત હોવાનો દાવો કરતી વખતે કોઈ ચોક્કસ સમુદાય માટે આવી વિનંતી યોગ્ય હતી?
મંગલ પ્રભાત લોઢાએ દાવો કર્યો હતો કે રામનવમી દરમ્યાન ગૅસની અછતને કારણે ભંડારાઓને અસર થઈ હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પણ આ પગલા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ગૅસ એજન્સીઓને પત્ર લખીને સામાન્ય જનતાને થતી અસુવિધા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચોક્કસ સમુદાયને ગૅસ સપ્લાય કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને જો કોઈ ગૅસનાં કાળાબજાર કરશે તો કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
છગન ભુજબળને લખેલો પત્ર સોશ્યલ મીડિયા પર આવ્યા પછી મંગલ પ્રભાત લોઢાએ શુક્રવારે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘ધાર્મિક હેતુ માટે જરૂરી ગૅસ સામાન્ય ક્વોટામાંથી ઉપલબ્ધ નથી. જો મારા વિધાનસભા મતવિસ્તારમાં કોઈને ધાર્મિક કાર્ય માટે ગૅસની જરૂર હોય તો હું ચોક્કસપણે એના માટે પ્રયાસ કરીશ. કેટલીક વ્યક્તિઓ રાજકીય હેતુથી અફવાઓ ફેલાવી રહી છે જે સંપૂર્ણપણે ખોટી છે. જો તેમને ધાર્મિક કાર્ય માટે આવી કોઈ માગણી મળી હોય તો તેમણે એ મને મોકલવી જોઈએ.’
મંગલ પ્રભાત લોઢાએ ગઈ કાલે ટ્વિટર પર બીજી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘આજે મેં મારા મતવિસ્તારમાં ઓમ શ્રી સદગુરુ સાંઈનાથ રામનવમી પદયાત્રા મંડળના ભંડારાના કાર્યક્રમ માટે ગૅસની વ્યવસ્થા કરી. મને આનંદ છે કે હું મારા મતવિસ્તારમાં આ ધાર્મિક કાર્યક્રમ માટે મારો ફાળો આપી શક્યો.’