ઘાટકોપરમાં વૉટર-ટૅન્કરે કચડી નાખી માનસિક રીતે અક્ષમ યુવતીને

26 March, 2026 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ઊહાપોહ મચી ગયો હતો. ઘટનાસ્થળે જમા થયેલા લોકોએ ટૅન્કરના ડ્રાઇવરને પકડીને તિલકનગર પોલીસને સોંપી દીધો હતો

યામિની સુવારે.

ઘાટકોપર-ઈસ્ટમાં રાજાવાડી પાસે આવેલા સિંધુવાડી સિગ્નલ પર એક વૉટર-ટૅન્કરે માનસિક રીતે અક્ષમ ૨૯ વર્ષની યામિની સુવારેને ટક્કર મારીને કચડી નાખતાં યામિનીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ઊહાપોહ મચી ગયો હતો. ઘટનાસ્થળે જમા થયેલા લોકોએ ટૅન્કરના ડ્રાઇવરને પકડીને તિલકનગર પોલીસને સોંપી દીધો હતો.

અકસ્માતની માહિતી આપતાં યામિનીની નાની બહેન દિશાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લા ઘણા સમયથી રાજાવાડીમાં આવેલી વીર મદનજી વાડીની પાછળ અંધારામાં રહીએ છીએ. મારા પપ્પા એક કંપનીમાં કુરિયર પહોંચાડવાનું કામ કરે છે. યામિનીને ફિટ આવવાનો પ્રૉબ્લેમ હોવાથી તે માનસિક રીતે અક્ષમ છે. આમ છતાં તે દિવ્યાંગ બાળકોને ભણાવવાની ટ્રેઇનિંગ લેવા રોજ હાજી અલીમાં આવેલા ટ્રેઇનિંગ સેન્ટરમાં જાય છે. અમે ત્રણ ભાઈ-બહેનમાં યામિની મોટી હતી.’

ગઈ કાલે યામિની ટ્રેઇનિંગ સેન્ટરમાંથી ઘરે આવી રહી હતી એમ જણાવીને દિશાએ કહ્યું હતું કે ‘ઘટનાસ્થળે જમા થયેલા લોકોએ આપેલી માહિતી પ્રમાણે યામિની વિદ્યાવિહાર સ્ટેશનથી ઘરે આવી રહી હતી ત્યારે અંદાજે સાંજે સવાસાત વાગ્યે મહાત્મા ગાંધી રોડ પરથી ચેમ્બુર તરફ જઈ રહેલું એક વૉટર-ટૅન્કર યામિની સાથે અથડાયું હતું અને એણે યામિનીને કચડી નાખી હતી. એને કારણે યામિનીનું ઑન ધ સ્પૉટ મૃત્યુ થયું હતું. અમને અકસ્માત થયા પછી રાજાવાડી હૉસ્પિટલમાંથી અડધો કલાક પછી બહેનના અકસ્માતના અને મૃત્યુના સમાચાર મળ્યા હતા.’

mumbai news mumbai ghatkopar road accident Crime News mumbai crime news rajawadi hospital