પાલિતાણાની જાત્રા કરવા માટે આવેલાં બેલ્જિયમનાં ગુજરાતી મહિલા મુંબઈમાં અટવાઈ ગયાં

06 March, 2026 07:01 AM IST  |  Mumbai | Darshini Vashi

બેલ્જિયમમાં હસબન્ડનું ડાયાલિસિસ ચાલતું હોવાથી વહેલી તકે ૭૦ વર્ષનાં શૈલા શાહ ઘરે જવા માગે છે, પણ ઍરલાઇન્સે ફ્લાઇટ સોમવાર પર રીશેડ્યુલ કરી છે

શૈલા શાહ

ઇઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વને એની ઝપટમાં લઈ લીધું હોય એવું લાગે છે. મિડલ ઈસ્ટનાં ઍરપોર્ટ હજી પણ સંપૂર્ણપણે કાર્યરત ન થયાં હોવાને લીધે મુંબઈ આવનારા જ નહીં, મુંબઈથી પાછા ફરનારા લોકો પણ છેલ્લા પાંચ-છ દિવસથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વર્ષોથી ફૅમિલી સાથે બેલ્જિયમમાં સ્થાયી થયેલા શાહ પરિવારનાં વડીલ શૈલા શાહ મંગળવારે પાલિતાણાની જાત્રા કરીને પાછાં બેલ્જિયમ જવાનાં હતાં, પરંતુ તેમની ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવતાં તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે.

ફ્લાઇટ કૅન્સલ થવાને લીધે અત્યારે પોતે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે એ જણાવતાં શૈલા શાહે કહ્યું હતું કે ‘હું દર વર્ષે મુંબઈ આવું છું. આ વર્ષે પણ હું ખાસ પાલિતાણાની જાત્રા કરવા મુંબઈ આવી હતી. મારા કાર્યક્રમ મુજબ મારી ફ્લાઇટ મંગળવારે મુંબઈથી દુબઈ સુધી હતી અને પછી ત્યાંથી હું બેલ્જિયમની ફ્લાઇટ લેવાની હતી. મારી ટિકિટ પણ આવી ગઈ હતી. જોકે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ટેન્શનને લીધે મારી ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી જેને લીધે અત્યારે હું ખૂબ જ ચિંતિત છું. આમ તો હું અત્યારે મુંબઈમાં મારી દીકરીના ઘરે જ છું એટલે કોઈ ચિંતાની વાત નથી, પરંતુ મારા હસબન્ડ બેલ્જિયમમાં છે અને બીમાર છે એટલે મારે વહેલી તકે તેમની પાસે પહોંચવું છે. તેમનું ડાયાલિસિસ ચાલે છે એટલે મારે જવાની ઉતાવળ છે. મારા હસબન્ડ સાથે મારાં દીકરા-વહુ અને પૌત્ર-પૌત્રી છે જે યોગ્ય રીતે સંભાળ રાખી રહ્યાં છે. એટલું જ નહીં, બેલ્જિયમમાં પણ તેમને શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ મળી રહી છે. એમ છતાં જ્યાં સુધી હું બેલ્જિયમ પહોંચીને તેમને નહીં મળું ત્યાં સુધી મને ચેન નહીં પડે. એવી જ રીતે સામે બેલ્જિયમમાં તેઓ બધા પણ મારી ચિંતા કરી રહ્યા છે. ઍરલાઇન્સે ફ્લાઇટ સોમવાર પર રીશેડ્યુલ કરી છે. આશા છે કે આ ફ્લાઇટ કૅન્સલ નહીં થાય. એટલે હવે અમે બધા સોમવારની રાહ જોઈને બેઠા છીએ.’

mumbai news mumbai jain community gujarati community news middle east crisis iran israel united states of america belgium