મીરા-ભાયંદર આદિવાસી જમીન ખરીદી કેસ મામલે BJP MLA નરેન્દ્ર મહેતા મુશ્કેલીમાં

25 June, 2026 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મુદ્દો મીરા રોડના કાશીમીરા વિસ્તારના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન પાસે આવેલા વરસાવે ગામની જૂની આદિવાસી વસાહતોનો છે. મૂળ આદિવાસી જમીન માલિકોએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી છે.

નરેન્દ્ર મહેતા

મીરા-ભાયંદર વિસ્તારમાં આવેલી આદિવાસી જમીનો ખરીદવામાં ગંભીર ગેરરીતિઓ અને અનિયમિતતાઓ અંગે ચોંકાવનારી વિગતો તપાસમાં જાણવા મળી છે. થાણે જિલ્લા કલેક્ટર શ્રીકૃષ્ણ પંચાલે આ મામલે મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેને તપાસ અહેવાલ સુપરત કર્યો છે, જેમાં સ્થાનિક ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા અને તેમની કંપની સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ અહેવાલથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મીરા-ભાયંદર જમીન કૌભાંડ: જિલ્લા કલેક્ટરે અહેવાલ શું જણાવ્યું?

થાણે જિલ્લા કલેક્ટર શ્રીકૃષ્ણ પંચાલની આગેવાની હેઠળની તપાસ સમિતિએ વરસાવે ગામના વિવિધ સર્વે નંબરોમાં જમીન વ્યવહારો સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરી હતી. સત્તાવાર તપાસ અહેવાલમાં આદિવાસી જમીનોના ગેરકાયદેસર ટ્રાન્સફર, જમીન વ્યવહારોમાં મોટી અનિયમિતતાઓ અને મહેસૂલ રેકોર્ડમાં ગંભીર વિસંગતતાઓ સ્પષ્ટપણે જણાઈ આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદીઓની જમીનો આદિવાસી માલિકો પાસેથી બિન-આદિવાસી વ્યક્તિઓ અને કંપનીઓને ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

મીરા-ભાયંદર જમીન કૌભાંડ: આદિવાસી જમીન પચાવી પાડવાના ગંભીર આરોપો

આ મુદ્દો મીરા રોડના કાશીમીરા વિસ્તારના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન પાસે આવેલા વરસાવે ગામની જૂની આદિવાસી વસાહતોનો છે. મૂળ આદિવાસી જમીન માલિકોએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી છે. ફરિયાદીઓના જણાવ્યા મુજબ, આ જમીનનો કબજો ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની માલિકીની `સેવન ઇલેવન હૉટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ` તેમજ અન્ય સંકળાયેલ પક્ષો દ્વારા લેવામાં આવ્યો હતો. નરેન્દ્ર મહેતા કંપનીના મુખ્ય માલિક છે, જ્યારે પ્રશાંત કેલુસ્કર અને સૂર્યકાંત સુર્વે અન્ય ડિરેક્ટર તરીકે કામ કરે છે.

મીરા-ભાયંદર જમીન કૌભાંડ: મહેસૂલ મંત્રીના આદેશ બાદ તપાસ સમિતિની રચના

સ્થાનિક પ્રશાસન તરફથી વળતર મેળવવામાં નિષ્ફળ ગયા બાદ, નિરાશ આદિવાસી પરિવારોએ આખરે સીધા મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેનો સંપર્ક કર્યો. ફરિયાદની ગંભીર નોંધ લેતા, મહેસૂલ મંત્રી બાવનકુળેએ થાણે જિલ્લા કલેક્ટરને સ્વતંત્ર સમિતિની રચના કરીને સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ, જિલ્લા કલેક્ટરે રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપરત કર્યો છે. તપાસ અહેવાલમાં જમીન ખરીદી અંગે કેટલીક શંકાઓ ઉભી થઈ હોવાથી, ધારાસભ્ય નરેન્દ્ર મહેતાને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. થાણે જિલ્લા અને રાજકીય વર્તુળોમાં બધાની નજર હવે મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળે આ સનસનાટીભર્યા અહેવાલ પર કેવી પ્રતિક્રિયા આપે છે અને દોષિતો સામે કાનૂની કાર્યવાહી માટે શું આદેશ આપે છે તેના પર છે.

mira road bhayander bharatiya janata party thane real estate gujarati mid day mumbai news maharashtra maharashtra government