“જેહાદના નામે હિન્દુઓને નિશાન બનાવવાનો ઈરાદો”: CM ફડણવીસે મીરરોડ કેસ પર કહ્યું

28 April, 2026 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફડણવીસે નોંધ્યું હતું કે આરોપી, ઝૈબ ઝુબૈર અંસારી, અગાઉ અમેરિકામાં રહેતો હતો અને તાજેતરમાં જ ભારત પાછો ફર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ સ્વ-કટ્ટરપંથીકરણનો કેસ લાગે છે. તેના નિવાસસ્થાનમાંથી અનેક પુસ્તકો અને વાંધાજનક સામગ્રી મળી આવી છે."

સીએમ દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીરા રોડ પર થયેલા છરી હુમલાની ઘટનાને `સ્વ-કટ્ટરપંથીકરણ`નો શંકાસ્પદ કેસ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સંકેત મળે છે કે આરોપીએ `જેહાદ`ના નામે હિન્દુ સમુદાયના સભ્યોને નિશાન બનાવવાના ઈરાદાથી આ હુમલો કર્યો હતો. આ મામલો રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો છે, અને હાલમાં આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મુખ્ય પ્રધાનનું નિવેદન

ફડણવીસે નોંધ્યું હતું કે આરોપી, ઝૈબ ઝુબૈર અંસારી, અગાઉ અમેરિકામાં રહેતો હતો અને તાજેતરમાં જ ભારત પાછો ફર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ સ્વ-કટ્ટરપંથીકરણનો કેસ લાગે છે. તેના નિવાસસ્થાનમાંથી અનેક પુસ્તકો અને વાંધાજનક સામગ્રી મળી આવી છે. તપાસ ફક્ત આરોપી સુધી મર્યાદિત રહેશે નહીં, તેના જેહાદ પાછળ કોઈ વ્યક્તિ કે નૅટવર્કનો હાથ હતો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.” CMએ ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર આ મામલે સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

ઘટનાની વિગતો

આ હુમલો સોમવારે વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ, મીરા રોડ પૂર્વમાં વૉકહાર્ટ હૉસ્પિટલ પાછળ અસ્મિતા ગ્રાન્ડ મૅન્શન પાસે થયો હતો. તે સમયે બે સુરક્ષા ગાર્ડ - રાજકુમાર મિશ્રા અને સુબ્રતો રમેશ સેન - ફરજ પર હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પહેલા સ્થળ પર પહોંચ્યો અને નજીકની મસ્જિદનો રસ્તો પૂછ્યો. થોડીવાર પછી, તે પાછો ફર્યો અને કથિત રીતે હુમલો કર્યો.

ગાર્ડ્સને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હોવાનો આરોપ

એવું જાણવા મળ્યું છે કે આરોપીએ પહેલા એક ગાર્ડને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી તેના પર છરીથી હુમલો કર્યો. ત્યારબાદ, તે સુરક્ષા કૅબિનમાં ઘૂસી ગયો અને બીજા ગાર્ડને `કલમા` વાંચવા કહ્યું. જ્યારે ગાર્ડ તે કરવામાં અસમર્થ રહ્યો, ત્યારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. બન્ને ઘાયલ ગાર્ડને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રાજકુમાર મિશ્રાને વૉકહાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે સુબ્રતો સેનને પણ તબીબી સારવાર આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બન્ને ગાર્ડની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાની માહિતી પોલીસે આપી હતી.

ATSએ પણ તપાસ શરૂ કરી

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) પણ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસ આરોપીની માનસિક, સામાજિક અને ગુનાહિત બૅકગ્રાઉન્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ચાકુ હુલાવી દેવાની આ ઘટના બાદ આ વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું અને રમખાણ ન ફાટી નીકળે એ માટે પોલીસે સાવચેતીનાં પગલાં તરીકે બંદોબસ્ત વધારી દીધો હતો.

mira road jihad devendra fadnavis mumbai news mumbai mumbai crime news anti terrorism squad isis