મીઠાના અગર બચાવવા માટે મુલુંડવાસીઓનું જનઆંદોલન, સરકારને કડક ચેતવણી

08 June, 2026 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડ-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેવ હાઇવે નજીક આવેલા મીઠાના અગરની જમીન પર તૈયાર થનારા હાઉસિંગ પ્રોજેક્ટ સામે સ્થાનિક નાગરિકોએ ફરી એક વાર આક્રમક વલણ અપનાવ્યું છે.

મુલુંડના વાસુદેવ બળવંત ફડકે માર્ગ પર થયેલું વિરોધ-પ્રદર્શન.

મુલુંડ-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેવ હાઇવે નજીક આવેલા મીઠાના અગરની જમીન પર તૈયાર થનારા હાઉસિંગ પ્રોજેક્ટ સામે સ્થાનિક નાગરિકોએ ફરી એક વાર આક્રમક વલણ અપનાવ્યું છે. ‘મીઠાઘર બચાવ સમિતિ, મુલુંડ’ના નેતૃત્વ હેઠળ ગઈ કાલે એક જનઆંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણીય સંતુલન, પૂરનિયંત્રણ અને મુલુંડની પાયાની સુવિધાઓ પર થનારી ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સરકારના આ પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું કે મુશળધાર વરસાદ દરમ્યાન મીઠાના અગર વધારાના પાણીનો સંગ્રહ કરીને પૂરથી બચાવવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે. જો અહીં મોટા પાયે બાંધકામ થશે તો મુંબઈમાં પૂરની સ્થિતિ વધુ ભયાનક બનશે એવી ભીતિ પર્યાવરણપ્રેમીઓએ વ્યક્ત કરી છે. આ જનઆંદોલનમાં આશરે ૩૦૦૦થી વધારે મુલુંડકરોએ ભાગ લીધો હતો. એટલું જ નહીં, તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પણ આ વિરોધ-પ્રદર્શનમાં જોડાયા હતા.

વાસ્તવમાં ધારાવી પુનર્વસન પ્રોજેક્ટના અપાત્ર રહેવાસીઓને મુલુંડમાં વસાવવાના સરકારી નિર્ણયને કારણે સ્થાનિકોમાં પહેલેથી જ ભારે નારાજગી છે ત્યાં હવે મીઠાના અગર પરના આ સૂચિત પ્રોજેક્ટથી નાગરિકોની ચિંતામાં બમણો વધારો થયો છે. પ્રદર્શનકારીઓના મતે આ બન્ને પ્રોજેક્ટ્સને કારણે મુલુંડની ટ્રાફિકવ્યવસ્થા, પાણીપુરવઠો અને જાહેર સુવિધાઓ પર અસહ્ય તાણ પડશે. આંદોલન દરમ્યાન સમગ્ર પરિસર ‘મીઠાઘર વાચવા, મુલુંડ વાચવા’ અને ‘પર્યાવરણનો નાશ અટકાવો’ જેવા નારાઓથી ગાજી ઊઠ્યું હતું. નાગરિકોની ભાવનાઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે એવી કડક ચેતવણી સરકારને આપવામાં આવી છે.

mumbai news mumbai mulund mumbai metropolitan region mmr environment